મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતમાં વર્તાઈ રહી છે. રાજ્યના અનેક શહેરોમાં કોમર્શિયલ LPG ગેસના પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો છે. આ અછતના કારણે હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ વ્યવસાય અને ફરસાણના કારખાનાઓના રોજિંદા કામકાજ પર ગંભીર અસર પડી રહી છે, જેનાથી વેપારીઓની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગેસની અછતને કારણે વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. વડોદરામાં ૩૬ જેટલા ગોડાઉન ખાલીખમ થઈ ગયા છે અને રોજ આવતા બે ટ્રકની સામે માંડ એક ટ્રક ગેસ મળી રહ્યો છે. બીજી તરફ, સુરતમાં ગેસ પ્લાન્ટની બહાર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓની લાંબી કતારો લાગી છે. સુરતના ૬૭ જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સને છેલ્લા બે દિવસથી ગેસનો જથ્થો ન મળતાં ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમોનો સપ્લાય ખોરવાયો છે.
આ સંકટ માત્ર મોટા શહેરો પૂરતું સીમિત નથી, કચ્છ જિલ્લામાં પણ કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાતા ઘણા રેસ્ટોરન્ટ્સ બંધ થવાની અણી પર આવી ગયા છે. આ ઉપરાંત, સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયમાં ૫૦ ટકા જેટલો અને ડેરી તથા ફર્ટિલાઇઝર ઉદ્યોગોના ગેસ પુરવઠામાં ૪૦ ટકા જેટલો કાપ મૂક્યો છે. આ સપ્લાય કાપની સીધી અસર ડેરી અને અન્ય ઉદ્યોગોના દૈનિક ઉત્પાદન પર પડી રહી છે.
આ સમગ્ર મામલે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સરકારની પ્રથમ પ્રાથમિકતા ઘરગથ્થુ રાંધણ ગેસના પુરવઠાને જાળવી રાખવાની છે, જેથી રાજ્યમાં કોઈ ઘરનો ચૂલો બંધ ન રહે. તેમણે જણાવ્યું કે કોમર્શિયલ ગેસ પર સત્તાવાર કાપ નથી, પરંતુ ઔદ્યોગિક વપરાશ નિયંત્રિત કરાયો છે. જ્યાં સુધી મધ્ય પૂર્વની સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી હોટલ અને ખાદ્ય ઉદ્યોગો માટે આગામી દિવસો વધુ પડકારજનક રહેવાની સંભાવના છે.