તોફાનો પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન

શનિવાર, 21 ડિસેમ્બર 2019 (14:53 IST)
નાગરિકતા ધારા સુધારા અને એનસીઆરના વિરોધમાં શાહઆલમ વિસ્તારમાં ગત ગુરુવારે થયેલા પથ્થરમારા અને પોલીસ સામે થયેલી હિંસાની ઘટનામાં આખરે ઈસનપુર પોલીસે 5000ના ટોળાં સામે જાહેરસભાની પરવાનગી આપવામાં ન આવતાં લોકોએ ષડ્યંત્ર રચી પોલીસની હત્યાના પ્રયાસરૂપે પથ્થરમારો કરી, પોલીસ વાહનોમાં તોડફોડ કરી, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડી રાયોટિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

ગુરુવારે બંધના એલાન દરમ્યાન શાહઆલમમાં તોફાની તત્વોએ પથ્થરમારો કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓને ઈજા પહોંચડાવવાના મામલે ચાર મહિલા સહિત 49 જણાની ધરપકડ કરી હતી. જે પૈકી કૉંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિત 13 આરોપીને એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ યુ.એન.સીંધીએ છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. જયારે બાકીનાં 36 આરોપીને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. આ અંગે સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, સરકારે જાહેર કર્યું છે કે જે લોકોએ તોફાનો કર્યાં છે, સીસીટીવી કેમેરા સહિત અન્ય પુરાવા એકત્ર કરીને બધાને સજા થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'તોફાનોમાં જે પણ કોઇ પકડાયા છે તે કોણ છે? કૉંગ્રેસ પાર્ટીનાં કોર્પોરેટર છે કે નહીં. કૉંગ્રેસ જ હિંસા કરી રહી છે અને હિંસા પાછળ છે જ.' અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ કરવા માટે શાહ આલમ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર