એસ. જયશંકરને ઇલેક્શન પિટિશનમાં 25મી સુધીમાં જવાબ રજૂ કરવા તાકીદ

શનિવાર, 19 ઑક્ટોબર 2019 (13:23 IST)
જુગલજી ઠાકોરના વિજયને પડકરાતી ઇલેક્શન પિટિશનમાં બન્ને સાંસદો તરફથી નિયત સમયમર્યાદામાં જવાબ રજૂ ન થતા હાઇકોર્ટે તેમને 25મી ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. પિટિશનની આગામી સુનાવણી 11મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. કોંગ્રેસના પરાજીત ઉમેદવારો ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેન ચુડાસમા તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તરફથી કુલ ત્રણ પિટિશનો દ્વારા આ ચૂંટણીને પડકારવામાં આવી છે.  

આ ચૂંટણીને પડકારતી કુલ સાત પિટિશનો અગાઉ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જે પૈકી ચાર પિટિશનો હાઇકોર્ટે રદ કરી ત્રણ પિટિશનો દાખલ કરી છે. ગૌરવ પંડયા તરફથી થયેલી એસ.જયશંકરન જીતને પડકારતી પિટિશન, ચંદ્રિકાબહેન તરફથી કરવામાં આવેલી જુગલજી ઠાકોરની જીતને પડકારતી પિટિશન અને પરેશ ધાનાણી તરફથી કરવામાં આવેલી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી સંયુક્ત પિટિશન હાઇકોર્ટે દાખલ કરી છે. પિટિશન દાખલ કરતા સમયે એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને સમન્સ પાઠવી 27મી સપ્ટેમ્બરના રોજ જવાબ રજૂ કરવા કહ્યું હતું. જો કે તેમના તરફથી જવાબ રજૂ ન થતા તેમને 25મી સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે અને આગામી સુનાવણી 11મી નવેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. વર્તમાન કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના લોકસભા ચૂંટણીમાં વિજયના કારણે ગુજરાતમાં તેમની રાજ્યસભા બેઠકો ખાલી પડી હતી. જેના માટે પાંચમી જુલાઇના રોજ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. બન્ને બેઠકો માટે એક ચૂંટણી અને એક મતદાન યોજવામાં આ વ્યું હતું. જેમાં ભાજપના એસ. જયશંકર સામે કોંગ્રેસના ગૌરવ પંડયાનો પરાજય થયો હતો અને બીજી બેઠકમં ભાજપના જુગલજી ઠાકોર સામે કોંગ્રેસના ચંદ્રિકાબેન ચુડાસમાનો પરાજય થયો હતો. સામાન્ય સંજોગોમાં ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે અલગ-અલગ નોટિફિકેશન અને અલગ મતદાનનો નિર્ણય ગેરકાયદે હોવાથી આ ચૂંટણી રદ કરવાની માગણી કરતી પિટિશન કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર