વાવાઝોડાને પગલે અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી અનિશ્ચિત મુદ્ત સુધી બંધ કરી દેવાઈ

મંગળવાર, 18 મે 2021 (19:46 IST)
અમદાવાદ શહેરમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં લોકોને કોરોના સામે સારવાર મેળવવામાં પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કેસમાં ઘટાડો થવાથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી. ત્યારે તાઉ-તે વાવાઝોડાએ ફરીવાર શહેરીજનોને ભયનો અનુભવ કરાવ્યો છે. આ બધાની વચ્ચે હવે શહેરમાં કોરોનાની વેક્સિનેશનની કામગીરી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવી છે. વેકસીનેશનની કામગીરી અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો AMCએ નિર્ણય કર્યો છે.શહેરમાં ગત જાન્યુઆરી મહિનાની 16 તારખથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ત્યાર બાદ 45થી વધુ વયના નાગરીકો અને સિનિયર સિટીજનોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. તે  ઉપરાંત મે મહિનાની પહેલી તારીખથી 18થી 45 વયના નાગરીકોને રસી આપવાનું કામ શરુ થયું હતું. રાજયમાં કોરોનાની મહામારીથી બચવા માટે કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે જેમાં વાવઝોડાની અસર થઈ છે. વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં 45 વર્ષથી વધુ વયના અને 18થી 44 વર્ષના વયના તમામ લોકોને રાજય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી વેક્સિન આપવામા નહિ આવે. 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં અત્યારસુધી(13 મે સુધી)માં કુલ 1,47,18,861 લોકોને રસી મૂકવામાં આવી છે, જેમાં 18,51,225 હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઈનવર્કરને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે. 9,95,693 હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઈનવર્કરને બીજો ડોઝ મુકાયો છે. 45થી વધુ ઉંમરના 86,60,645 લોકોને પ્રથમ ડોઝ મુકાયો છે, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 27,94,084 લોકોને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. આ સાથે 18થી 44 વર્ષના 4,17,214 લોકોને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર