આજે સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ, ૨૨માં સાંસ્કૃતિક વન તરીકે ‘‘વટેશ્વર વન’’નો ઉમેરો

શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (08:52 IST)
આજે તા. ૧૨મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ૭૩મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના ૨૨માં સાંસ્કૃતિક વન ‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ કરી ખુલ્લુ મુકશે. ૭૩માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં કુલ ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. 
 
રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસ રૂપે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ-૨૦૦૪થી વન મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક વનોની સ્થાપનાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ શ્રૃખંલામાં છેલ્લાં ૧૮ વર્ષમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 
 
દુધરેજ ખાતે આયોજિત ૭૩માં વન મહોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તેમજ પુરુષોત્તમભાઈ સાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.  
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી પુનિત વન-ગાધીનગર, માંગલ્ય વન-બનાસકાંઠા, તીર્થંકર વન-મહેસાણા, હરિહર વન-ગીરસોમનાથ, ભક્તિ વન-સુરેન્દ્રનગર, શ્યામલ વન-અરવલ્લી, પાવક વન-ભાવનગર, વિરાસત વન-પંચમહાલ, ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન-મહીસાગર, નાગેશ વન-દેવભૂમિ દ્વારકા, શક્તિ વન- રાજકોટ, જાનકી વન-નવસારી, આમ્ર વન-વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર તથા મહીસાગર વન-આણંદ, વીરાજંલી વન-સાબરકાંઠા, રક્ષક વન-કચ્છ, જડેશ્વર વન-અમદાવાદ, રામવન-રાજકોટ, મારુતિ નંદન વન-વલસાડ એમ ૨૧ વન બનાવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે બનેલું આ “વટેશ્વર વન” રાજ્યનું ૨૨મું વન હશે. આ વન પ્રકૃતિ પ્રેમીઓ, વન વિહાર કરનારાઓ, મુલાકાતીઓ-પ્રવાસીઓ માટે અનન્ય વિરાસત પુરવાર થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર