વિજાપુરની 140 વર્ષ જુની બે માંડવીઓમાં છઠ્ઠ અને સાતમના નોરતો માં અંબા અને માં બહુચર એક બીજાને પાલખીયાત્રા રૂપે મળે છે

સોમવાર, 11 ઑક્ટોબર 2021 (18:57 IST)
આધુનિક યુગમાં પણ અહીં પ્રાચિન ગરબાઓ ગવાય છે જેમાં યુવાનો અને યુવતીઓ હોંશે હોંશે ગરબે રમે છે
આ વખતે પણ બ્રાહ્મણોએ પિતાંબરમાં સજ્જ થઈને માતાજીને નગરચર્યા કરાવી
 
આજના આધુનિક અને વેસ્ટર્ન મ્યુઝિકના તાલે ગવાતા ગરબાની વચ્ચે શહેરોમાં અને ગામડાંઓમાં શેરી ગરબો જે પોતાની પારંપરિક અને ભાતીગળ સ્ટાઈલને કારણે ગુજરાતની આગવી ઓળખ બની ગયો છે. તેવા મહોલ્લાના ગરબા આજના આધુનિક ગરબાઓની વચ્ચે હજી પણ જીવંત છે. તેનું તાદ્શ્ય ઉદાહરણ વિજાપુર શહેરમાં છેલ્લા 141 વર્ષથી ઉજવાતી કાશીપુરા અને વહેરાવાસણ મહોલ્લાની નવરાત્રીમાં જોવા મળી રહ્યું છે. આ બંને મહોલ્લામાં નવરાત્રીની માંડવીની શરુઆત ઈ.સ.1880માં કરવામાં આવી હતી. અહીં એક સદીથી બંને દેવીઓ એક બીજાને પાલખીયાત્રા રૂપે મળે છે એવી અનોખી પરંપરા છે.
એક સદીથી પાલખીયાત્રા રૂપે બંને દેવીઓ એકબીજાને મળે છે
નવરાત્રીના ઉપાસનાના પર્વે પરંપરાઓ તો અનેક છે, પરંતુ અહીં એક અનોખી પરંપરાની વાત કરવી છે. જ્યારથી આ બંને માંડવીની શરુઆત થઈ છે ત્યારથી સતત નિરંતર બંને દેવીઓ માં બહુચર અને માં અંબા એકબીજાને પાલખીયાત્રા રૂપે મળે છે. વહેરાવાસણ લત્તામાંથી પાલખીયાત્રામાં માં બહુચર નવરાત્રીની છઠ્ઠના દિવસે કાશીપુરામાં દેવી અંબાને મળવા જાય છે. જ્યારે સાતમના દિવસે કાશીપુરામાંથી દેવી માં અંબા વહેરાવાસણમાં માં બહુચરને મળવા આવે છે. 
 
બ્રાહ્મણો પિતાંબરમાં સજ્જ થઈને માતાજીને નગરચર્યા કરાવે છે
આ બંને દિવસે બંને મહોલ્લાના બ્રાહ્મણો પિતાંબરમાં સજ્જ થઈને માતાજીને પાલખીમાં બેસાડીને નગરમાં પાલખીયાત્રા કરે છે. આ દરમિયાન નગરના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. રસ્તામાં પાલખી યાત્રા નીકળે ત્યારથી લઈને એ યાત્રા પરત ફરે ત્યાં સુધી રસ્તા પર ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. જ્યારે માતાજીની પાલખી યાત્રા માંડવીમાં પરત ફરે ત્યાર બાદ પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ બ્રાહ્મણો દ્વારા માતાજીને પાલખીમાં બેસાડીને દરેક મહોલ્લાવાસીને ઘરે પૂજા અર્ચના કરવા માટે લઈ જવામાં આવે છે.
માત્ર પ્રાચિન ગરબા જ ગવાય છે
ગુજરાત સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં પોતાની પ્રાચિનતા માટે જાણિતી કાશીપુરા અને વહેરાવાસણની માંડવીમાં માત્ર પ્રાચિન ગરબાઓ જ ગવાય છે. નવાઈની વાત છે કે આ પ્રાચિન ગરબાઓ કોઈ વૃદ્ધ અનુભવી નહીં પણ યુવાનો દ્વારા ગાવામાં આવે છે. આવા પ્રાચિન ગરબાઓની ધૂન પર આજની આઘુનિક યુવતીઓ અને યુવાનો હોંશે હોંશે ગરબા ગાય છે.
 
વહેરાવાસણમાં બીજના નોરતેથી પ્રથમ નોરતુ શરૂ થાય છે
બંને પ્રાચિન માંડવીઓમાં માતાજીની આરાધના કરવામાં આવી છે. અહીં માંડવીઓ કોરના કાળમાં પણ સજાવવામાં આવી હતી પણ ગરબા નહોતા યોજાયા માત્ર આરતી જ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે સરકારે છુટ છાટ આપતા ફરી વાર બંને માંડવીઓમાં ભક્તીનો માહોલ જોવા મળ્યો છે. પહેલા જ નોરતે થી માતાજીના ગરબાની શરૂઆત થઈ છે. કાશીપુરામાં એકમના નોરતેથી નવરાત્રી શરૂ થાય છે. જ્યારે વહેરાવાસણમાં બીજના નોરતેથી પ્રથમ નોરતુ શરુ થાય છે. છેલ્લા દિવસે માતાજીને વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર