સુરતમાં ઘર બહાર હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર મારવાનું શરૂ કરાયું

સોમવાર, 20 માર્ચ 2023 (15:26 IST)
તહેવારોની સીઝન જતા જ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસો માથું ઉચકી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી નવા કેસોની ઝડપ વધી છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. શહેરમાં કોરોનાના દર્દીઓના ઘરની બહાર સાવચેતી માટે હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર મારવાનું શરૂ કરવામાં આવ્યું છે.સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા શ્રીજી નગરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ થતા તેના ઘરની બહાર હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર મારવામાં આવ્યા હતા.

સુરતની વાત કરીએ તો રવિવારે સુરતમાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા હતા. આમ હાલમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 50 છે.ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો ગઈકાલે 24 કલાકમાં 133 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 70 દર્દીઓ હતા. જ્યારે મહેસાણા 16, સુરત શહેરમાં 8, રાજકોટ તથા વડોદરામાં 6-6 કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એક્ટિવ કેસોની કુલ સંખ્યા 740 થઈ ગઈ છે. બીજી બાજુ માર્ચ-૨૦૨૦થી અમદાવાદમાં શરુ થયેલી કોરોના લહેરના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની એસ.વી.પી.હોસ્પિટલ ઉપરાંત એલ.જી હોસ્પિટલ સહિતના અન્ય સ્થળોએ અલગ અલગ પ્રકારની કેપેસીટીના ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરાવવામા આવ્યા હતા.ગોમતીપુરના કોર્પોરેટરને તંત્ર તરફથી આપવામા આવેલી માહિતી મુજબ,કોરોનાના દર્દીઓને સારવાર આપવા પુરતા પ્રમાણમાં ઓકિસજન મળી રહે એ માટે એલ.જી.હોસ્પિટલ ખાતે એક, એસ.વી.પી.હોસ્પિટલ ખાતે છ અને વી.એસ.હોસ્પિટલ ખાતે એક ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરાવવામા આવ્યો હતો.આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કુલ નવ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે બે ઓકિસજન પ્લાન્ટ કાર્યરત કરવામા આવ્યા હતા.૧૫.૭૭ કરોડના ખર્ચથી  જે તે સમયે બનાવવામા આવેલા ઓકિસજન પ્લાન્ટ ઉપરથી તંત્ર ધૂળ ખંખેરી ઓકિસજન પ્લાન્ટ હાલ વર્કીંગ કન્ડીશનમાં છે કે કેમ એ અંગે ચકાસણી કરે એ કોરોનાના વધી રહેલા કેસને જોતા જરુરી બન્યુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર