રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં આજે બુધવારે (25 જૂન) નર્મદા અને તાપી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં મહાનગરોના પ્રિમોન્સૂન પ્લાન પણ પલળતાં જોવા મળી રહ્યા છે. 23 અને 24 જૂને સુરત શહેરની હાલત બદતર થયા બાદ 25મી જૂને અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોએ જળબંબાકારની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે તારાજી મચાવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને સામાન્ય લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સુરત મહાનગરપાલિકાએ રાહત કાર્ય શરૂ કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે.