ગાંધીનગરના કલેક્ટરે હાર્દિક પટેલની ઉપવાસ માટેની મંજૂરી ફગાવી, હવે આ સ્થળે કરશે ઉપવાસ

શનિવાર, 25 ઑગસ્ટ 2018 (11:17 IST)
હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. ઉપવાસ કરવા માટે ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણીની માગ કરાઈ હતી. જોકે હવે તંત્ર દ્વારા ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. આ મામલે મંજૂરી માગનારા ઉત્પલ પટેલનુ નિવેદન લેવામાં આવ્યુ હતું. હાર્દિક પટેલે ઉપવાસ માટે અમદાવાદમાં ત્રણ ગ્રાઉન્ડની માગ કરી હતી. આ ગ્રાઉન્ડને તંત્ર દ્વારા પાર્કિગ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પાટીદાર સમિતિ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ કરવાની માગ કરાઈ હતી. 25 હજાર લોકો એકઠા થશે તેવો અરજીમાં ઉલ્લેખ હતો.જોકે તેને પણ ગાંધીનગર કલેક્ટરે મંજૂરી આપી નથી. હવે હાર્દિકે જાહેર કર્યું છે કે તે  તેના નિવાસસ્થાને ઉપવાસ કરશે. તેમજ આજે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે લાલજી પટેલ, હાર્દિક પટેલ અને એ.કે.પટેલ વિસનગર કોર્ટમાં પહોંચ્યા હતા. 20 હજારના મૂલ્યની સોલવંસી રજૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો. વિસનગર કોર્ટે તોડફોડ મામલે હાર્દિક સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફટકારી હતી. જોકે ત્યાર બાદ આ ચુકાદા પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. જે બાદ આજે જામીન રજૂ કરવા માટે બંને વિસનગર કોર્ટ પહોંચ્યા હતા. વિસનગરમાં પાસ કન્વીનર હાર્દિક પટેલે કહ્યું કે, આવતીકાલથી મારા નિવાસસ્થાને ઉપવાસ કરીશ. મને મંજૂરી ન આપી એ સરકાર માટે શરમજનક વાત છે. હું કોઇ વ્યક્તિગત લડાઇ નથી લડી રહ્યો. ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઇ છે. ધીંગાણાનો ઢોલ વાગે ત્યારે જ મર્દાનગીની ખબર પડે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર