ગુજરાતમાં 219 શેલ્ટર હોમ્સમાં 8432 પરપ્રાંતિય મજૂરો-કામદારોને રખાયા

મંગળવાર, 7 એપ્રિલ 2020 (13:27 IST)
વડાપ્રધાને ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો-કામદારો હીજરત કરવાનુ શરૃ કર્યુ હતુ પરંતુ કેન્દ્રના આદેશ બાદ સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ રાજ્યમાં શેલ્ટર હોમ્સ ઉભા કર્યા છે અને જે અંતર્ગત હાલ રાજ્યમાં ૮૪૩૨ મજૂરો-કામદારોને ૨૧૯ જેટલા આશ્રય સ્થળોમાં રખાયા છે. મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોની હિજરત બાદ સર્વોચ્ચ અદાલતમાં થયેલી રીટ પીટિશનમાં કોર્ટ સમક્ષ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે એકશન રીપોર્ટ જવાબરૃપે રજૂ કર્યો હતો.જેમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વિવિધ જગ્યાએ ૨૧૯ જેટલા આશ્રય સ્થળો ઉભા કરાયા છે.જેમાં સ્કૂલોથી માંડી વિવિધ જગ્યાનો શેલ્ટર હોમ તરીકે ઉપયોગ કરાયો છે. રાજ્યના ૨૧૫થી વધુ આશ્રમ સ્થાનોમાં ૮૪૩૨ જેટલા પરપ્રાંતિય મજૂરો અને કામદારોને રાખવામા આવ્યા છે.દરેક જિલ્લા કલેકટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૩૪ મુજબ જાહેરનામુ બહાર પડાયુ હોવાથી શ્રમીકોને નિવાસ સ્થાન આપવા સાથે તેઓને ભોજન આપવામા આવી રહ્યુ છે અને તેઓનુ હેલ્થ ચેકપણ કરવામા આવી રહ્યુ છે. મહત્વનું છેકે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર થતા ગુજરાતમાં કામ કરતા હજારો પર પ્રાંતિય મજૂરો તેમજ કામદારોએ રાજસ્થાન, મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પોતાના મૂળ વતને જવા હિજરત શરૃ કરી હતી અને અનેક મજૂરો ચાલતા ચાલતા તેમજ કેટલાક મજૂરો સરકારે છેલ્લે છેલ્લે ઉભી કરેલી બસ સેવામા પોતાના રાજ્યમાં જતા રહ્યા છે પરંતુ કેન્દ્રના આદેશ બાદ રાજ્યની બોર્ડરો સીલ કરાતા રાજ્યમાં રહેલા પરપ્રાંતિય મજૂરો-કામદારોને રાખવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર