બોલીવુડની બહુચર્ચિત ફિલ્મ પદ્માવતીનો સુરતમાં થયો વિરોધ

બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (11:01 IST)
ફિલ્મ ‘પદ્માવતી’નાં સેટ પર ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડનાં આરોપમાં કરણી સેનાએ ફિલ્મનાં સેટ પર પહોંચીને ખુબ ઉત્પાત મચાવ્યો. કરણી સેનાનાં કાર્યકર્તાઓએ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાલી સાથે ખુબ જ ખરાબ વ્યવહાર કર્યો. તેમના વાળ ખેંચ્યા અને મારપીટ પણ કરી. ફિલ્મનું શૂટિંગ જયપુરનાં જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યુ છે. આ ઘટના સંદર્ભે રાજપૂત કરણી સેનાના ફાઉન્ડર લોકેન્દ્ર કલવીએ આક્રમક પ્રતિક્રિયા આપીને કરણી સેનાના કારસ્તાનનો બચાવ કર્યો છે.બોલીવુડની બહુચર્ચિત અને ફિલ્મના નામથી જ વિરોધનો સામનો કરી રહેલી સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મનો સુરતમાં વિરોધ થયો છે. સુરતના વરાછામાં આવેલી સૂર્ય સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર લખવાની સાથે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાણી પદ્માવતી અને ખીલજી પર બની રહેલી ફિલ્મ અટકાવવાની માંગ કરવામાં આવી છે. સૂર્યસેના દ્વારા ફિલ્મનો વિરોધ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, ફિલ્મ નિર્માતા સંજય લીલા દ્વારા રાણી પદ્માવતી જેઓએ 1600થી વધુ રાજપૂત મહિલાઓ સાથે જોહર કરી પોતાના પ્રાણની આહુતી આપી હતી. રાજપૂત ધર્મની રક્ષા કરનાર રાણીની વાર્તા ખોટી રીતે દર્શાવાઈ રહી છે. જેનો સૂર્યસેના ગુજરાત પ્રદેશ સખત વિરોધ કરે છે તેમજ કરણી સેના રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજને ખુલ્લું સમર્થન અને સહકાર આપવાની વાત કરી હતી.

વેબદુનિયા પર વાંચો