હવે સરકાર 2 રુપિયે કિલોના ભાવે ગાયનું છાણ ખરીદશે, રખડતા ઢોરનો નિકાલ આવશે

સોમવાર, 14 ઑગસ્ટ 2023 (16:38 IST)
ગોબરધન યોજનાથી રખડતાં ઢોરની સમસ્યાનો નિકાલ આવશે અને રસ્તે ઢોર જોવા નહીં મળે
Gobardhan Yojana,
Gobardhan Yojana ગુજરાતમાં રખડતાં ઢોરનો મુદ્દો વિકટ બની રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ઢોર અંકુશ પોલીસીને મંજુરી આપી છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મીડિયાને કહ્યું હતું કે, હવે ટુંક સમયમાં રખડતાં ઢોરની સમસ્યાનો નિકાલ થશે. 
 
ગોબરનો ભાવ મળતાં પશુપાલકો ઢોરને રખડતાં નહીં મુકે
કેન્દ્રીય મંત્રી પૂરુષોત્તમ રૂપાલાએ મીડિયાને કહ્યું હતું કે, રાજ્યમાં રખડતાં ઢોરનો મુદ્દો છે તેને ઉકેલવા માટે સરકાર નવી ટેક્નોલોજી પર વિચારણા કરી રહી છે. સરકાર ગોબર ધન યોજના અમલમાં મુકીને આ સમસ્યાનો નિકાલ કરશે. પશુપાલકો પાસેથી સરકાર દૂધની સાથે હવે ગોબર પણ ખરીદવામાં આવશે. પશુપાલકો અને ખેડૂતો પાસેથી હવે દૂધની સાથો સાથ બે રૂપિયે કિલો ગોબર ખરીદવામાં આવશે. હવે દૂધાળા પશુઓના ગોબરનો ભાવ મળતાં પશુપાલકો ઢોરને રખડતાં નહીં મુકે એવી શક્યતાઓ ધ્યાને લેવાઈ છે. 
 
શું છે કેન્દ્ર સરકારની ગોબરધન યોજના?
તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરાયેલા બજેટમાં ‘ગોબર ધન યોજના’ હેઠળ દેશમાં 500 નવા ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળનાર છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા 30 એપ્રિલ 2018ના રોજ ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગોબર ધન યોજના’નો મુખ્ય ઉદ્દેશ ગામોમાંથી ઉકરડા પ્રથાનો સંપૂર્ણ નિકાલ કરવાનો તેમજ પશુઓના છાણ તથા પાકના અવશેષોનું બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતર કરી વાતાવરણને પ્રદુષણમુક્ત કરવાનો છે.
Gobardhan YojanaGobardhan Yojana

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર