આજથી ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ કરી શકશે સિંહદર્શન

મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (12:08 IST)
ચોમાસાના ચાર માસ માટે ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન બંધ હતા, જે હવે આજ વહેલી સવારે ૬ વાગ્યાથી સિંહ દર્શન માટે પ્રવાસીઓથી ધમધમતું થશે અને વધુ પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તે માટે વનવિભાગે પરમીટોમાં પણ વધારો કર્યો છે. દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને જંગલમાં વિચરતા સિંહ દર્શન માટે ચોક્કસ સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં આવવું પડતું હોય છે. 
ગીર અભ્યારણ ચોમાસાના ચાર માસના વેકેશનને લઈ બંધ હતું. જે આજે તા. ૧૬ ઓક્ટોબરથી વહેલી સવારના છ વાગ્યાથી પ્રવાસીઓ જીપ્સી મારફત જંગલમાં સિંહ દર્શન માટે જઈ શકશે આ માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન પરમીટો આપવામાં આવતી હતી. જે ગત વર્ષે દરરોજ ત્રણ ટીમની ૯૦ પરમિટ આપવામાં આવતી હતી જેમાં વધારો કરી દરરોજ કુલ ૧૫૦ પરમીટો આપવામાં આવી રહી છે. 
આ સાથો સાથ દેવળીયા સફારી પાર્કમાં પણ લોખંડની જાળીવાળી જીપ્સીમાં સિંહ દર્શન કરવા શરૂ કરવામાં આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓને સાસણમાં સિંહ દર્શન માટે કુલ ૨૦૦થી વધુ જીપ્સીઓ મૂકવામાં આવી છે. ગીર અભ્યારણમાં કુદરતી અવસ્થામાં વિહરતા વન્ય પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષોને નિહાળવાના અને તેના વિશે પ્રવાસીઓ માહિતગાર કરવા માટે વનવિભાગ દ્વારા ૧૨૦થી વધુ ગાઈડોને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. આમ દિન-પ્રતિદિન સિંહ દર્શનનો વધતો જતો ક્રેઝને કારણે સાસણના રહેવાસીઓને રોજગારીમાં વધારો થયો છે. આગામી દિવસોમાં દિવાળીનો વેકેશન ને લઈ સિંહ દર્શનની પરમીટો અને સાસણ આસપાસ આવેલી હોટલો, રીસોર્ટ અત્યારથી જ બુકિંગ ચાલુ થઈ ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર