દુષ્કાળના ડાકલા: આપ ગુજરાતના ખેડૂતોને આપશે સાથ, ન્યાય માટે કરશે યાત્રા

બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (09:50 IST)
આમ આદમી પાર્ટી ગુજરાત હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતનાં ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. વરસાદ દિવસોથી હાથતાલી આપી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની સંવેદના ઊંઘી રહી છે. ખેડૂતોને કાયદેસર સરકારની જાહેરાત અનુસાર મળવી જોઈતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એસ.ડી.આર.એફ.ની યોજનાઓના અમલ વિષે ગુજરાત સરકાર મૌન છે. દુષ્કાળ મેન્યુયલ ભૂલાયું છે, સરકારની સંવેદના કોમામાં છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારની સંવેદનાને ઢંઢોલવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જઈ રહી છે.
 
આવતી કાલે ખેડૂતોની માગણીઓ અને સરકારની યોજનાઓના અમલ માટે આખા રાજયના તમામ જિલ્લાઓમાં ક્લેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્રો આપશે.
રાજયના રાજયપાલને મળવા માટેનો સમય માગવામાં આવ્યો છે, જો સમય મળે તો રાજયપાલને મળીને રજૂઆત કરવામાં આવશે.
 
ત્રીજા ચરણમાં સૂઈગમ નાદેશવારી માતાના મંદિરેથી આગામી તા. 10-9-21, ગણેશ ચતુર્થીના દિવસે બાઇક યાત્રા પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી અને પ્રદેશ નેતા સાગર રબારીની આગેવાનીમાં શરૂ થશે. આખી યાત્રા બે ચરણમાં પૂરી થશે. પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને આવરી લેવાશે અને બીજા ચરણમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓને આવરી લેવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર