ભાવનગર-વલ્લભીપુર અકસ્માત - પતિ- પત્નીના ઘટના સ્થળે જ મોત, બાળક ગંભીર રૂપે ઘાયલ

સોમવાર, 18 એપ્રિલ 2022 (15:08 IST)
ભાવનગર-વલ્લભીપુર રોડપર સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીના દર્શને જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારની બાઈકને ટ્રક ચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષિય પુત્રને લઈને પોતાની બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ વેળાએ ભાવનગર-વલ્લભીપુર રોડપર ચમારડી ગામથી આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી તથા તેનાં બાળકને અડફેટે લેતાં અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જયારે બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળપર છોડી નાસી છુટ્યો હતો. તથા રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગે વલ્લભીપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર