ડોક્ટરની બેદરકારી! ડાયાબિટીશ વાળા દર્દીને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો

શુક્રવાર, 2 નવેમ્બર 2018 (15:34 IST)
ગ્રાહક સુરક્ષા કોર્ટે શહેરના એક ડૉક્ટરને પોતાની બેદરકારની કારણે મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રુ. 5 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. આસરવા વિસ્તારમાં આવેલ નમ્રતા હાર્ટ એન્ડ મેડિકેર હોસ્પિટલ ધરાવતા ડૉ. હસમુખ પટેલને ત્યાં વર્ષ 2009માં કલોલના રહેવાસી કોકિલાબેન પરમાર કમળો થવાના કારણે એડમિટ થયા હતા. ડૉક્ટરે તેમને ડાયાબિટિઝ હોવા છતા બેદરકારી પૂર્વક ગ્લુકોઝનો બોટલો ચઢાવ્યો હતો. જેના કારણે તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને છેલ્લે મૃત્યું થયું હતું.આ ઘટનામાં પાંચ બાળકોની માતના મૃત્યુ પછી સમગ્ર વિગતની જાણ થતા મૃતકના પતિ ભરતભાઈ પરમારે 2015માં ડૉક્ટર સામે રુ. 5 લાખનો કેસ કર્યો હતો. જેની સુનાવણી કરતા અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી કે, ‘બચાવ પક્ષના વ્યક્તિ એક ડૉક્ટર તરીકે પોતાની ડ્યુટી નિભાવતા હતા. જે દરમિયાન તેમનું કામ હતું કે ફરિયાદીની પત્નીની યોગ્ય સારવાર કરે પરંતુ આ કામમાં બેદરકારી તેમની ડ્યુટી પ્રત્યેના નિષ્ઠા અને વચનમાં ભંગ છે.’કોર્ટે વધુમાં કહ્યું કે, ‘ડૉક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થવાથી તેના બાળકો અને પતિ પર આવેલ દુખ અને માનસિક વિટંબણાના જવાબદાર પણ ડૉક્ટર જ છે. ડૉક્ટરે જો પોતાની ડ્યુટી બરાબર નીભાવી હોત અને પહેલા યુરિન રિપોર્ટ ચેક કર્યા હોત તો આજે શક્ય છે કે એક વ્યક્તિનો જીવ બચી ગયો હોત. જેથી કોર્ટની દ્રષ્ટીએ પણ મૃત્યુ પાછળનું પ્રથમ કારણ ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ ગ્લુકોઝનો ડૉઝ છે.’

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર