કોરોનાની બીજી લહેરમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધુ સંક્રમણ ફેલાયુ

ગુરુવાર, 25 માર્ચ 2021 (13:34 IST)
કોરોના મહામારીને એક વર્ષ પૂરું થતાં જ ફી એકવાર રાજ્યમાં કેસોમાં વધારો થયો છે. ગત માર્ચ 2020માં શરૂ થયેલી મહામારીમાં પૂર્વના કોટ વિસ્તારમાં કેસો વધ્યા હતા. જો કે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં પશ્ચિમ વિસ્તારમાં 942 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં 256 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા, બોપલ અને બોડકદેવ જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 200થી વધુ કેસો છે જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં આશરે 50 જેટલા કેસો છેલ્લા ચાર દિવસમાં આવ્યા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.  જગતપુર પાસે આવેલા ગણેશ જીનેશિશ ફ્લેટમાં ચારથી વધુ બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ફ્લેટના સ્થાનિકના જણાવ્યા મુજ સોસાયટીમાં 15 જેટલા કોરોનાના કેસો આવેલા છે. ફ્લેટમાં કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. બીજી તરફ ગોતા બ્રિજ પાસે આવેલા સત્યમેવ વિસ્ટા ફ્લેટને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચાર બ્લોક છે અને કોર્પોરેશનની ટીમ દ્વારા ત્યાં પતરા મારી દેવામાં આવ્યા છે. સત્યમેવ વિસ્ટામાં પણ 8થી વધુ કેસો આવ્યા છે. એકતરફ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેથી કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સુપર સ્પ્રેડર એવા શાકભાજી વેચવા વાળા, કરીયાણાની દુકાન સહિતના લોકોના ટેસ્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 જગ્યાએ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશનના ટેસ્ટિંગની પોલ્મપોલ પોલ બહાર આવી છે. પશ્ચિમ વિસ્તારમાં ચાંદલોડિયા શાકમાર્કેટમાં શકિત વિદ્યાલય પાસે સુપર સ્પ્રેડરના ડોમ બનાવવામાં આવ્યા છે.ટેસ્ટનો ડોમ ખાલી હતો અને જેટની રીક્ષા ત્યાં જોવા મળી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર