હીરાવેપારીની અપહરણ બાદ હત્યાની ફરિયાદ

રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (17:03 IST)
ભાવનગરના એક હીરાના વેપારીનો મૃતદેહ અમરેલીના બાબરા ખાતેથી મળી આવ્યો છે.
 
ભાવનગર ખાતેના આ વેપારીનું નામ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ છે.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે આ વેપારીનું પૈસાની લેવડદેવડમાં અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે હીરાના આ વેપારીની હત્યાના ત્રણ આરોપીને બાબરાથી ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ધીરુભાઈની હત્યા કરીને તેમના મૃતદેહનો નિકાલ કરવા માટે તેને કૃષ્ણનગર વિસ્તારમાં સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
 
ભાવનગર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ બીબીસી સહયોગી અલ્પેશ ડાભીને જણાવ્યું હતું, “બાબરા પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને સૂચના મળી કે કોઈ શંકાસ્પદ ગાડી કૃષ્ણનગર ખાતે ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો ત્યાં એક સફેદ કારમાં ત્રણ શંકાસ્પદો મળી આવ્યા હતા. તેમની નજીક કંઇક સળગતું નજરે પડ્યું હતું. પોલીસે વધુ જાણકારી મેળવી તો ખબર પડી કે કોઈ મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન થયો હતો. અમે ત્રણેય શંકાસ્પદની પૂછપરછ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો છે તથા તેની ફોરેન્સિક તપાસ કરાવડાવી છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર