આજે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે ભારત બંધના એલાનને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે. ગુજરાતમાં બંધ પાળવામાં નહી આવે તે અંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે. અને રાજ્યમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તેમછતાં ગુજરાતમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. વદોડરા, ભરૂ, દહેજ, જાંબુઆ સહિતના હાઇવે ઉપર ટાયરો સળગાવવા જેવી ઘટના સાથે જ વાહન વ્યવહાર રોકી દેવાતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
ખેડૂતોના ભારત બંધ (Bharat Bandh) ને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધમાં ગુજરાતના કેટલાક ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાશે, આ વિરોધના પગલે આજે ગુજરાતમાં મોટાભાગની APMC બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
મળતા અહેવાલો મુજબ ભરૂચ અને દહેજ વચ્ચેના હાઈવે પર અજાણ્યા શખ્સોએ ટાયરો સળગાવીને ટ્રાફિકજામ કર્યો હતો. જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી. તો બીજી તરફ, વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે 8 પર ટાયર સળગાવ્યા છે. જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા. ભારત બંધના પગલે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ આપ્યો હતો. જોકે, ટાયરો કોણે સળગાવ્યાએ વાત જાણી શકાઈ નથી.જોકે,રાજ્ય માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હોવાછતાં પણ હાઇવે ઉપર દેખાવો જોવા મળી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. જેના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હોવાની વિગતો જાણવા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે અમદાવાદમાં બંધની નહીવત અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ રસ્તા પર રક્ષા સહિતના વાહનો દોડતા જોવા મળ્યા હતા. બીજી બાજુ એક અહેવાલ અનુસાર, ભારત બંધમાં એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC માર્કેટ નહીં જોડાય. ઊંઝા APMCમાં હરાજી ચાલુ રહેશે.