સમગ્ર રાજ્યમાં 36 કલાક સુધી 15 લાખથી વધુ રીક્ષાઓના પૈડાં થંભી જશે

રવિવાર, 14 નવેમ્બર 2021 (12:59 IST)
CNGના ભાવ વધારાને લઈને રીક્ષાચાલકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક યોજવાના છે. અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં હવે ટેક્સી ચાલકો પણ રિક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયા છે. આ બેઠકમાં આવનાર દિવસોમાં CNGના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવશે અગાઉ રિક્ષાચાલકો આગામી 15મી અને 16મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરી ચૂક્યા છે.
 
સાબરમતી ગેસ દ્વારા એકસાથે 5 રૂપિયાના વધારાને કારણે હવે તેના ગેસનો પ્રતિ કિલોનો ભાવ વધીને 65.74 રૂપિયા થઈ ગયો છે. 2 રૂપિયાના વધારા સાથે અદાણી CNGની કિંમત પણ 64.99 રૂપિયા પર પહોંચી ગઈ છે.
 
રાજ્યમાં CNGના ભાવની વાત કરવામાં આવે તો એક મહિનામાં CNGના ભાવમાં 8.69 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે રાજ્યમાં CNGની કિંમત 56.30 રૂપિયા પ્રતિ કિલો હતી. 2 ઓક્ટોબરે તેમાં રૂ. 2.56નો વધારો થયો હતો. ભાવ વધીને 58.86 થયો હતો. 6 ઓક્ટોબરે ફરી એક રૂપિયો વધારવામાં આવ્યો હતો. જેની કિંમત 59.86 રૂપિયા થઈ ગઈ છે. 11 ઑક્ટોબરે 1.63 રૂપિયાનો વધારો થયો હતો, જેની કિંમત 61.49 રૂપિયા થઈ ગઈ હતી. 18 ઓક્ટોબરે, તે રૂ.1.50 વધીને રૂ. 62.99 પર પહોંચી ગયો છે.
 
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરી રાહત આપવામાં આવી છે.. ત્યારે હવે CNGના ભાવમાં પણ ઘટાડો કરવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા CNGના ટેક્સમાં ઘટાડો કરી CNGના ભાવમાં ઘટાડો કરવા ઓટો રીક્ષા એસોસિએશને માંગ કરી છે.અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સરકારને CNG ગેસના ભાવમાં ઘટાડો રાહત આપવા માંગ કરી છે.
CNG માં વધેલા ભાવ સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. CNG માં થયેલો ભાવવધારો સરકાર પરત લે એવી અપીલ કરવામાં આવી છે. 15 અને 16 નવેમ્બરે રિક્ષાચાલક એસોસિએશન દ્વારા 36 કલાક હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે ત્યારે એ પહેલાં સરકાર હકારાત્મક નિર્ણય લે એવી માગ કરવામાં આવી છે. હડતાળ થતા રિક્ષાચાલકોને નુકસાન થાય અને જનતા પણ પરેશાન થતી હોવાથી સરકાર ભાવવધારો પરત લે એવી અપીલ કરવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર