રિક્ષાચાલકોની માગ નહીં સંતોષાતા 7મી જુલાઈએ હડતાળની ચીમકી

ગુરુવાર, 2 જુલાઈ 2020 (14:16 IST)
ઓટો રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને આગામી 7 જુલાઈએ હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર પેકેજમાં રિક્ષાચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ દાખવ્યો છે.  આ અંગે ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, સરકારે કોરોના મહામારીથી થયેલા નુકસાનમાં તથા લૉકડાઉન દરમિયાન આર્થિક સહાય કરવાની ના પાડી હતી. આ ઉપરાંત  બેંકના નિયમ મુજબ જ લોન મળશે તેમ જણાવ્યું હતું. આત્મનિર્ભર યોજના અંતર્ગત દસ્તાવેજો ભેગા કરવા ઘણા જ મુશ્કેલ છે અને તેના નિયમો પણ ખૂબ કડક હોવાથી તમામ રિક્ષાચાલકોને આ સહાય મળી શકે તેમ નથી. આમ રિક્ષાચાલકોએ 7 જુલાઈ 2020ના રોજ વિરોધ દર્શાવવા માટે એક દિવસની પ્રતીક હડતાલનું હથિયાર ઉગામ્યું છે. આ સંપૂર્ણ આંદોલનની જવાબદારી ઓટોરિક્ષા ચાલકોના અગ્રણી આગેવાન અશોક પંજાબીના નેજા હેઠળ કરવામાં આવશે, જેમાં અમદાવાદના વિવિધ સાત યુનિયનો દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર