કોરોનાના કેસ ઘટતા બંધ ટ્રેનો તબક્કાવાર શરૂ થશે, વતન ગયેલા શ્રમિકો પાછા ફરવા લાગ્યા

મંગળવાર, 8 જૂન 2021 (15:39 IST)
એપ્રિલ - મે 2021માં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ પેસેન્જરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેના કારણે અમદાવાદની અનેક ટ્રેનો બંધ કરાઈ હતી. કોરોનાના કેસમાં ઘટાડો થતાં રેલવેએ તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા હોવાથી અમદાવાદ સહિત અન્ય શહેરો તરફ જતી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રેલવેએ વધુ વેઇટિંગ લિસ્ટ છે તેવા રૂટ પર પહેલા અને ત્યારબાદ અન્ય ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ ઘટતા અને ધંધા-રોજગાર ફરીથી શરૂ થતા શ્રમિકો રોજગારી માટે શહેરોમાં પરત ફરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી અમદાવાદ તરફ આવતી તમામ ટ્રેનો હાઉસફૂલ આવી રહી છે. કેટલીક ટ્રેનોમાં લાંબું વેઈટિંગ લિસ્ટ હોવાની સાથે નો રૂમના પાટિયા લાગી ગયા છે. આ સ્થિતિમાં રેલવેએ ફરીથી ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર