મેઘરજમાં 65 વર્ષીય વહેમીલા પતિએ કુહાડીના ઘા ઝીંકી 60 વર્ષીય પત્નીની હત્યા કરી

મંગળવાર, 5 જુલાઈ 2022 (11:35 IST)
મેઘરજ તાલુકાના જામગઢમાં 65 વર્ષીય વહેમીલા પતિએ પોતાની 60 વર્ષીય પત્ની પર વહેમ રાખી રવિવારની રાત્રે ઊંઘમાં મોઢાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી છે. હત્યા કરી હત્યારો પતિ ફરાર થઇ ગયો હતો. આ અંગે મૃતકના મહિલાના પુત્રે પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતકનું ઇસરી સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી ઇસરી પોલીસે હત્યારા પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે અને પિયરિયાંએ પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.

જામગઢના કાંતિભાઈ દોલાભાઈ મનાતના લગ્ન રાજસ્થાનના માલાગામડી ગામનાં સવિતાબેન સાથે થયા હતા. સંતાનમાં એક પુત્ર નામે જયંતીભાઇ છે. લગ્ન બાદ પતિ પત્નીના ચારિત્ર પર શક અને વહેમ રાખી ઝઘડો કરતો હતો. દરમિયાન ગત રવિવારની રાત્રિએ સવિતાબેન કાંતિભાઈ મનાત (60) ને ઊંઘમાં જ દાઢીના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો.આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સવારે મૃતક સવિતાબેનના પિયરિયાંને જાણ કરતાં તેઓ જામગઢ ગામે દોડી આવ્યાં હતાં અને નિષ્પક્ષ તપાસની માગ કરતાં ઈસરી પોલીસે મૃતકના પુત્ર જયંતીભાઈ કાંતિભાઈ મનાતની ફરિયાદના આધારે મૃતક મહિલાના પતિ કાંતિભાઈ દોલાભાઈ મનાત (65) રહે. જામગઢ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મૃતકનું ઈસરી સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી હત્યારા પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર