સુરતમાં 17 વર્ષીય સગીર 10મા માળેથી નીચે પટકાતા મોત, પરિવારે અંગદાનનો નિર્ણય લીધો

બુધવાર, 6 ડિસેમ્બર 2023 (20:07 IST)
17-year-old minor dies after falling from 10th floor in Surat
સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન એપાર્ટમેન્ટના 10માં માળેથી ગરોડિયા પરિવારનો ધોરણ-12માં અભ્યાસ કરતો દીકરો નીચે પટકાયો હતો. પરિવાર ગઇકાલે જ નાસિકથી સુરત આવ્યો હતો. દીકરો નીચે પટકાયા બાદ વોચમેને તેના માતા-પિતાને ઘટનાની જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારે ભારે હૈયે દીકરાની આંખોનું દાન કરી માનવતા મહેકાવી છે. દીકરાના મોતથી પરિવાર શોકમાં સરી ગયો છે.

મૂળ રાજસ્થાનના ગરોડિયા પરિવારનો 17 વર્ષીય દીકરો ખુશાલ ગણેશભાઈ ગરોડિયા ધોરણ-12માં આભ્યાસ કરતો હતો. તે તેના મોટાભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. પિતરાઈ બહેનનાં લગ્ન હોવાથી ખુશાલ પરિવાર સાથે નાસિક ગયો હતો. 2થી 4 તારીખ સુધી લગ્નમાં વ્યસ્ત ખુશાલ મોજમાં જ હતો. ગઇકાલે એટલે કે 5 ડિસેમ્બરે પરિવાર સાપુતરામાં રાત્રિનું ભોજન કરી સુરત આવ્યું હતું.રાત્રે મોટા પપ્પાનો દીકરો ખુશાલને તેના ઘરે મૂકવા ગયો હતો. ત્યારબાદ લાંબા પ્રવાસના કારણે ઘરના લોકો થાકી જતા બધા જ સૂઈ ગયા હતા. મોડી રાત્રે લગભગ 11 વાગ્યે વોચમેને બૂમાબૂમ કરીને નાનાભાઈને ઘટનાની જાણ કરતા ખુશાલ લોહીલુહાણ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોરની જમીન ઉપર પડેલો મળી આવ્યો હતો.

રાત્રે 11 વાગ્યાની આસપાસ મૃતક ખુશાલ બિલ્ડિંગના દસમાં માળેથી નીચે પટકાયો હતો. આરામ કરી રહેલાં માતા-પિતાને ઘટનાની જાણ ન હતી. વોચમેને બાળકને નીચે પટકાયેલો જોઇ પરિવારને જાણ કરી હતી. મૃતક ખુશાલના પિતાને ઘટનાની જાણ કરાતાં જ તેઓ દોડીને ઘટનાસ્થળે આવી ગયા હતા.દીકરાને જોઈ પિતાને આઘાત લાગ્યો હતો. તરત જ ખુશાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ખુશાલની મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ પરિવાર દ્વારા ખુશાલની આંખોનું દાન કરી માનવતા મહેકાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર