સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) દ્વારા આજે બુધવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટશે, તેવો દાવો પાટીદારો કરી રહ્યા છે. પાટીદારોને જેલભરો આંદોલન માટેની બેઠક કરવાની મંજૂરી ન મળતાં તેમણે મહાઆરતીના નામે મંજૂરી મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે પહેલા મહાઆરતી યોજવામાં આવશે. આ પછી પાટીદારોના 17મીના જેલભરો આંદોલન અંગે ચર્ચા કરવામાં આવશે. અત્યારે ગુજરાતભરમાં પાટીદારો સભાઓ કરીને જેલભરો આંદોલનનો પ્રચાર કરી રહ્યા છે. એસપીજી 17મીએ પોતાની તાકાત બતાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને 17મીએ લાખો પાટીદારો જેલભરો આંદોલનમાં જોડાય તેવું ઇચ્છી રહી છે.
આજે યોજાનારી મહાઆરતીમાં અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવતા વિસ્તારોમાં રહેતા પાટીદારોને ઉપસ્થિત રહેવાના છે. એસપીજી દ્વારા પાટીદારોને એકઠા કરવા માટે મહાઆરતીનું આયોજન કરીને શક્તિ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પાટીદારોને હાજર રહેવા માટે એક આમંત્રણ પત્રિકા પણ છપાવવામાં આવી છે.આ મહાઆરતી ઘોડાસરમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહાઆરતીનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું, ત્યાં પણ મોટી સંખ્યામાં પાટીદારોએ એકઠા થયા હતા અને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોને એકઠા કર્યા હતા, જેના પછી બીજી વખત અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરાવમાં આવ્યું છે. એસીજીને એવી આશા છે કે, મહાઆરતી સંકલ્પ પર્વ કાર્યક્રમમાં હાજારોની સંખ્યામાં પાટીદારો હાજર રહેશે.