પાટીદારોના જેલભરો આંદોલન પહેલા જ આજથી 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે 17 એપ્રિલના દિવસે મહેસાણાથી જેલભરો આંદોલન શરૂ કરવાની જાહેરાતને પગલે આ કલમ લાગુ પાડી છે. આ કલમ હેઠળ 18 એપ્રિલ સુધી ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, જિલ્લા પોલીસ વડાના પત્રને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રમેશ મેરજા દ્વારા આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. અને આજથી એટલે કે 4 એપ્રિલ સવારે નવ કલાકથી 18 એપ્રિલ સુધી રાત્રીના બાર કલાક સુધી આ કલમ અમલમાં રહેશે. આ જાહેરનામું મુંબઇ પોલીસ એક્ટ 37-3 મુજબ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ કલમ અનુસાર જાહેર સ્થળો પર ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે, અને જો કોઇ પણ વ્યક્તિ કલમ 144 નું ભંગ કરશે તો તે સજાને પાત્ર બનશે.