PM મોદીના મર્ડર માટે વિદેશથી આવ્યો ફોન, 50 કરોડની ઓફર

સોમવાર, 22 મે 2017 (10:08 IST)
આ વખતે આતંકવાદીઓના નિશાના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. તેમની હત્યા માટે મધ્યપ્રદેશના સતના જીલ્લામાં એક યુવક પાસે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. 
 
જે અજાણ્યા વ્યક્તિએ વિદેશથી કોલ કર્યો તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે 50 કરોડ રૂપિયાની ઓફર આપી.  જેમાં 25મી મેના રોજ મુંબઇમાં યોજાનારી રેલી દરમિયાન પીએમ મોદીને બોંબથી ફુંકી મારવા માટે 50 કરોડ રૃપિયાની ઓફર આપવામાં આવી છે. કુશલ સોનીએ આ મામલાની લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેના પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૃ કરી છે. હાલ પોલીસની સાઇબર સેલે મામલાની તપાસ શરૂ કરી છે.
 
   આ પહેલા મધ્યપ્રદેશ ઇન્ટેલીજન્સે યુપી પોલીસને એલર્ટ કરી હતી કે ત્રાસવાદીઓ ભગવા પહેરવેશમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે. સતના પોલીસ વડા મિથીલેશ શુકલાએ જણાવ્યુ છે કે પોલીસે ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને સાઇબર સેલે તપાસ શરૃ કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, શનિવારે સાંજે 4.50 કલાકે સતનાના રામનગર નિવાસી કુશલ સોનીને એક ફોન આવ્યો હતો.
 
   ફોન કરનાર શખ્સએ કહ્યુ હતુ કે, 25મી મેના રોજ મુંબઇમાં યોજાનારી રેલીમાં પીએમ મોદીને બોંબથી ફુંકી મારવાના છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, આ ઘટનાને અંજામ આપવા માટે બે શખ્સોને તૈયાર પણ કરાયા છે. ફોન કરનાર શખ્સએ કુશલ સોનીને જણાવ્યુ હતુ કે, આ ઘટનાને અંજામ આપવા તમે પણ સામેલ થઇ જાવ. તમને આ માટે મ્હોં માંગી રકમ પણ આપવામાં આવશે. જો કે તેમણે પોતાનુ નામ જણાવ્યુ ન હતુ.
 
   કુશલ સોનીએ વિચાર્યુ કે કોઇ મજાક કરી રહ્યુ છે પરંતુ મોબાઇલ નંબર જોયા બાદ તે ચોંકી ઉઠયો હતો અને તેણે વાતચીતનો ઓડીયો પોલીસને સુપ્રત કર્યો છે. રામનગરના પોલીસ પ્રભારી મિશ્રાએ જણાવ્યુ છે કે આ ફોન વિદેશથી આવ્યો હતો. ફોન કરનાર શખ્સનો ટોન ગુજરાતી લાગતો હતો. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં જ સતનાના બલરામ અને રાજીવ નામના બે પાક. જાસુસોને ભોપાલ એસટીએફએ ઝડપી લીધા હતા. ફોન કરનાર વ્યકિતએ 50 કરોડની ઓફર આપી હતી. જે ફોન આવ્યો તેનો નંબર આઠ અંકનો છે.

વેબદુનિયા પર વાંચો