પુણેમાં વરસાદથી બની મોટી દુર્ઘટના, દિવાલ પડવાથી 4 બાળકો સહિત 15ના મોત

શનિવાર, 29 જૂન 2019 (11:57 IST)
પુણેમાં ભારે વરસાદને પગલે શુક્રવારે રાત્રે એક રહેણાક સોસાયટીની દિવાલ બાજુમાં જ આવેલા મજૂરોના કાચા મકાનો પર પડતા 15ના મોત થયા છે. કોંઢવા વિસ્તારમાં દિવાલ પડતાં 15 મજૂરોના મોત થયા તેમજ સંખ્યાબંધ ઘવાયા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે. પુણેના કોંઢવામાં તળાવ મસ્જિદ વિસ્તારમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે આ દુર્ઘટના ઘટી હતી. એક રહેણાક સોસાયટીનું બાંધકામ ચાલી રહ્યું હતું જયાં બાજુમાં જ મજૂરોના કાચા મકાનો આવેલા હતા. સોસાયટીની પાર્કિંગ બાજુએ આવેલો દિવાલનો ભાગ મજૂરોના મકાનની તરફ ધસી પડ્યો હતો. જેને પગલે કાટમાળ નીચે દબાવાથી 15નાં મોત થયા હતા 
બીજીબાજુ થાણેમાં પણ મોડી રાત્રે કેટલાંય વિસ્તારોમાં વૃક્ષો પડ્યાના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના લીધે અંબરનાથમાં શિવાજી ચોક પર ઓટો રિક્ષા સ્ટેન્ડ પર વૃક્ષ પડતા 3 લોકો ઘાયલ થયા. આપને જણાવી દઇએ કે મુંબઇ, થાણે, કલ્યાણ, પાલઘર, અને આસપાસના જિલ્લામાં જોરદાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાતા બીએમસીની નાળા સફાઇના દાવાઓની પોલ ખુલી ગઇ. આ દરમ્યાન કરંટ લાગતા ત્રણ લોકોના મોત થયા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર