Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (12:58 IST)
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે. 
 
તેમનો જન્મ આશરે 7 મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

માટેલ મંદિર 
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામમાં પ્રખ્યાત ખોડીયાર મંદિર આવેલું છે. વાંકાનેર શહેરથી આશરે 17 કિમી દૂર છે. માતાજી મંદિર ઉચ્ચ ખડક પર આવેલું છે. અહીં જૂની ચાર દેવીઓ ની મૂર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર ઝુમે છે. 
 
મંદિર ના કાંઠે શાંત નદી આવેલી છે જે માટેલિયા તરીકે ઓળખાય છે. માતાજીના પ્રસાદની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમે તીર્થ ધામ સુધી એસટી અને ખાનગી વાહનો દ્વારા ગુજરાતના દરેક જગ્યાએ પહોંચી શકો છો. વાંકાનેર ત્યાં સુધી ટ્રેન આવે છે. રહેવા અને જમવાની ગોઠવણો માટે આ એક સુંદર સ્થળ છે.
 
ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાગટય સ્થાન છે ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઇ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણુ દૂર કર્યું હતું. સાત બહેનો અને એકભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બેન એ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ નાનકડા ગામમાં ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવાય છે.
 
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. 
 
કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે, પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે 
તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
 
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા, ત્યારે આવતી વેળા તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલી બહેને જાનબાઈને જોઈને કહ્યુ કે, "આ જાનબાઈ ખોડી તો નથી થઈને"  ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં, ત્યારથી તેમનું નામ ખોડિયાર પડયું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.

Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર