રૂપાલા વિવાદમાં પોસ્ટર વોરઃ ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ પ્રવેશવું નહીં

સોમવાર, 8 એપ્રિલ 2024 (12:27 IST)
Poster war in Rupala controversy


-  પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ
- ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું
- જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ ન થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં

લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે. સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ ન થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.

ગત મોડીરાત્રે ડભોઈના સાઠોદ ગામે આ બેનર જેસીબીની મદદથી લગાવવામાં આવ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં. તેમજ આગવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું.

આ અંગે આગેવાને જણાવ્યું હતું કે, સાઠોદ ગામનો રાજપૂત સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આજે સમાજ સહિત સાઠોદ ગામના રાજપૂત સમાજ દ્વારા ગામના સ્ટેન્ડ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામેગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું. ભાજપ વિકાસની વાતો કરે છે ત્યારે રોડ-રસ્તા પર રાજપૂત સમાજ આવ્યો છે. છતાં કેમ ન્યાય મળતો નથી. અમારી માગણી વાજબી છે અને અમે કોઈ સમાજ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નથી તે કરવા સરકાર મજબૂર કરી રહી છે.વધુમાં કહ્યું હતું કે, જો સરકાર પુરુષોત્તમ રૂપાલની ટિકિટ નહીં કાપે તો અમે માઈક્રો પ્લાનિંગ કરી સરકારને મોટું નુકસાન કરીશું. સાથે આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીશું. અમારે ન્યાય જોઈએ અને માત્ર એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર