ગુજરાતના આ ગામમાં માત્ર એક મત પડ્યો અને થઈ ગયું 100 ટકા મતદાન, જાણો શું છે હકિકત

મંગળવાર, 7 મે 2024 (16:42 IST)
ગીર, સોમનાથઃ ગુજરાતના સૌરાષ્ટ્રમાં મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં 100 ટકા મતદાન થયુ છે. બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયુ છે. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે. અહીંના એક માત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતા જ આ બુથ પર સો ટકા મતદાન થયુ છે. દર ચૂંટણીમાં અહીં થાય સો ટકા મતદાન થાય છે. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે. 
 
ફોરેસ્ટ ક્વાટર્સમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે
માત્ર એક મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવતી વખતે ચૂંટણી પંચ દરેક મતદાર માટે એક ખાસ મતદાન મથક પણ બનાવે છે. અહીં સવારથી સાંજ સુધી આ બૂથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે. ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારક બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ ક્વાટર્સમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે. જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર છે. જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. 
ચૂંટણીપંચ 2002 થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે
મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે. જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે. ચૂંટણીપંચ 2002 થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આ બૂથ બનાવવામાં આવ્યું છે. જે મતદાનની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 15 જેટલો સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે.અહીં બનાવેલા આ સ્પેશિયલ બૂથ વિશે હરિદાસબાપુ કહે છે કે, ‘લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છું.હું દરેકને અચૂક મતદાન કરવા અપીલ કરું છું. હરિદાસબાપુ વધુમાં કહે છે કે મતદાન કરવું એ આપણી ફરજ છે આપણે મતદાન કરવું જ જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર