વડોદરાના કુખ્યાત ડોન મુકેશ હરજાણીની જાહેરમાં ગોળીઓ ધરબીને હત્યા કરાઈ

શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (16:43 IST)
વડોદરાના કુખ્યાત ડોન મુકેશ હરજાણીની શહેરના હરણી રોડ પર ગુરુવારે રાત્રે અજાણ્યા શાર્પ શૂટરોએ 9 રાઉન્ડ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. મુકેશના સાગરીત વિજયએ આક્ષેપ કર્યો હતો કે લાલુ સિંધીએ જ મુકેશની હત્યા કરાવી છે. બનાવને પગલે શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.  મુંબઇથી શાર્પ શૂટરો બોલાવીને મુકેશની હત્યા કરાવવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  તાજેતરમાં જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી રાતે 11 વાગ્યાના અરસામાં હરણીરોડ પરવૃંદાવન ટાઉનશીપમાં રહેતા તેના મિત્ર પપ્પુ શર્માને મળવા આવ્યો હતો. તે મળીને પરત કારમાં બેસવા જતો હતો ત્યારે જ ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને આંતર્યો હતો. મુકેશ અને તેનો મિત્ર પપ્પુ શર્મા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ પોતાની પાસેના હથિયારમાંથી ઉપરાછાપરી 9 રાઉન્ડ ગોળીબાર કરતા અંધાધૂધી મચી ગઇ હતી. ગોળીબારમાં 8 જેટલી ગોળીઓ મુકેશના શરીરમાં ઘૂસી ગઇ હતી. એક મિસ ફાયર થયું હતું. જેને પગલે મુકેશ હરજાણી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.  મુકેશને તાબડતોબ કારમાં નાખીને મેટ્રો હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મોડી રાતે નાકાબંધી કરી અજાણ્યા હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.મેટ્રો. મોડીરાત્રે પોલીસ કમિશનર શશીધરન પણ મેટ્રો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને બનાવ અંગેની વિગતો મેળવી હતી. પોલીસે મુકેશ હત્યા પ્રકરણની તપાસ માટે ખાસ ટીમ બનાવી હતી.એક ગોળી મુકેશ હરજાણીની ડાબી આંખ બહાર નિકળી ગઇ હતી. તો બે ગોળી તેના હ્રદયની નીચેના ભાગે વાગી હોવાનું જાણવા મળ્યુ છે.

વેબદુનિયા પર વાંચો