વડોદરા લોકસભાની બેઠક સહિત રાજ્યની નવ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પડધમ બંધ થઈ ચૂક્યા છે. ચૂંટણી આચારસંહિતા મુજબ મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચારનું કામકાજ બંધ કરી દેવામાં આવે છે. વડોદરા લોકસભા સહિત ડીસા, ટંકારા લીમખેડા માતર. આણંદ જામખંભાળીયા, મણીનગર, તળાજા અને માંગરોડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે શનિવારે તા.13 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.
પેટા ચૂંટ્ણીઓમા ભાજપના નેતાઓ કોંગ્રેસમુક્ત ગુજરાતના નારાને વધુ આગળ ધપાવવા કમર કસી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ પેટા ચૂંટણીઓમાં વિજય મેળવી ફરી રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ આગળ રહેવા પામ્યો છે. ભાજપ તેની વન બુથ ટેન યુથની નીતિ પ્રમાણે અને પેજ પ્રમુખો નિયુક્તિ કરી પ્રચાર કાર્યમાં ધમધમાટી બોલાવી દીધી છે. ભાજપના વિવિધ નેતાઓ ઠેર ઠેર ગ્રુપ મીટિંગો યોજી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના ખાટલા બેઠકો યોજી પ્રચારમાં ગરમી લાવી દીધી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન મથકને શક્તિ કેન્દ્રોના નામે વિભાજીત કરવામાં આવ્યા છે. અને આ શક્તિ કેન્દ્રોની જવાબદારી પક્ષના અગ્રણી કાર્યકરોને ઈંચાર્જ બનાવી સોપી દેવામાં આવી છે. ભાજપ તરફથી ગુજરાતના પ્રભારી ઓન માથુર. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનો જાહેર સભાને સંબોધી રહ્યા છે.