ફાર્મા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનો દવાઓ ઉત્‍પાદનમાં ૩૩ ટકા અને નિકાસમાં ૨૮ ટકા હિસ્‍સો

સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (11:23 IST)
પાલનપુર: ફાર્મસી ક્ષેત્રે દવાઓના ઉત્‍પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત ૩૩ ટકા દવાઓનું ઉત્‍પાદન કરે છે અને નિકાસમાં તેનો હિસ્‍સો ૨૮ ટકા છે જે વિદેશી હૂંડિયામણ વધારવામાં મદદરૂપ બન્‍યું હોવાનું જણાવી દવાઓના ઉત્‍પાદન ક્ષેત્રે ગુજરાત ફાર્માનું હબ બન્‍યું છે. ચાંગા ખાતે ચારૂસેટ સંલગ્ન રમણભાઇ પટેલ કોલેજ ઓફ ફાર્મસીના યજમાનપદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગથી આયોજિત દ્વિ દિવસીય નવમા રાષ્‍ટ્રીય ફાર્મા વિઝન-૨૦૧૯નો રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની ઉપસ્‍થિતિમાં પ્રારંભ કરાવ્‍યો હતો.
 
નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારે શિક્ષણના વિકાસ પાછળ રૂ. ૩૦ હજાર કરોડનું બજેટ ફાળવીને રાજયના તમામને સારામાં સારૂં શિક્ષણ મળી રહે તે માટે તઓની સારી સગવડતા મળી રહે તે માટે સમરસ હોસ્‍ટેલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનો ઉલ્‍લેખ કરી કોઇપણ ગરીબ-મધ્‍યમ વર્ગનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્‍ચ શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકારે અનેક પગલાં ભરી રહી છે.
 
નીતિન પટેલે અગાઉ મેડીકલ ક્ષેત્રે ૧૨૦૦ મેડીકલ સીટો હતી જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને મહારાષ્‍ટ્ર, કર્ણાટક, તામિલનાડુ જેવા રાજયમાં જવું પડતું હતું તેમાંથી તેઓને મુકિત અપાવી આજે ગુજરાતમાં ૫૫૦૦ સીટો સહિત  ફાર્મસી, ડેન્‍ટલ, નર્સીંગ જેવા દરેક ક્ષેત્રોમાં પણ સીટો વધારવામાં આવી છે. નીતિન પટેલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિવિધ પ્રવૃત્તિઓનો ઉલ્‍લેખ કરી વિદ્યાર્થીઓ સ્‍વયં કારર્કિદી ઉજજવળ બનાવે અને પ્રગતિ કરે તે માટે પરિવાર અને સમાજને તેઓને સતત માર્ગદર્શન આપતાં રહેવાની સાથે પ્રોત્‍સાહિત કરવાની જવાબદારીઓનું વહન કરવા જણાવ્‍યું હતું. 
 
ગુજરાતની ફાર્મા ક્ષેત્રે ૧૧૨ વર્ષ જૂની એલેમ્‍બિક કંપનીનો ઉલ્‍લેખ કરી આજે ગુજરાતમાં ૪૫૦૦ થી વધુ ફાર્મા ઉત્‍પાદક કંપનીઓ કાર્યરત હોવાનું જણાવી ગુજરાતમાં આજે ફાર્મા કંપનીઓનો વિકાસ થઇ રહ્યો હોવાનો ઉલ્‍લેખ કર્યો હતો. આ સેમિનારમાં જે કોઇ નિષ્‍કર્ષ આવે તે સરકારના ધ્‍યાને મૂકવાનું જણાવી તેના સૂચનોને ધ્‍યાને લઇ સરકાર પ્રોત્‍સાહિત કરવા મદદરૂપ બનશે. રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ વાયબ્રન્‍ટ ગુજરાત શરૂ કર્યુ હતું જેના કારણે ગુજરાતમાં આજે બધા પ્રકારના ઉદ્યોગો મૂડીરોકાણ માટે આકર્ષાયા હતા જેના કારણે આજે રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. જેના કારણે આજે ગુજરાત ફાર્મા ક્ષેત્રે કેડિલા, ઝાયડસ, ટ્રોઇકા, ઇન્‍ટાસ જેવી અનેકવિધ મોટી કંપનીઓ ગુજરાતમાં આવી હોવાને કારણે ગુજરાત ફાર્મા ક્ષેત્રે હબ બન્‍યું છે.
 
માહિતી અને ટેકનોલોજીના યુગમાં ફાર્મા ક્ષેત્રે નવા સંશોધનો અને કાર્યો કરવા યુવાનોને આહવાન કરી યુવાનોને રાષ્‍ટ્ર નિર્માણમાં પોતાની ફરજો અને જવાબદારીઓ સમજીને સમાજ તમારા તરફથી જે આશા રાખે છે તે જવાદારીઓ અને ફરજો નિભાવી પોતાના અધિકારો પ્રતિ જાગૃત રહેવા કહ્યું હતું. વિદ્યાર્થીઓને કોઇ આપણી પર વિશ્વાસ મૂકતું હોય છે ત્‍યારે કોઇપણ કામમાં જવાબદારીઓ વફાદારીપૂર્વક અદા કરી શિસ્‍તબધ્‍ધ રીતે કોઇપણ ક્ષેત્રે આગળ વધવાનું જણાવી એક સ્‍વસ્‍થ-સ્‍વચ્‍છ સમાજનું નિર્માણ કરવાના કાર્યમાં સહભાગી બનવા કહ્યું હતું. યુવાનોને સમાજમાં અનેક પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું સમાધાન હોઇ નિરાશ ન થતાં તેનું નિરાકરણ લાવી રાજય-રાષ્‍ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગ નવા સંશોધનો અને કાર્ય થકી આગળ વધવા જણાવ્‍યું હતું. 
 
ચારૂસેટના પ્રોવેસ્‍ટ ડૉ. પંકજ જોષીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે હજુ ગુજરાતે ઘણું બધું કરવાનું છે જે માટે રાજય સરકાર અનેક પગલાંઓ ભરી રહી છે તેમ જણાવી ગુજરાતમાં મોટા પ્રમાણમાં યુવાનોમાં ખંત અને મહેનત ઘરબાયેલી છે તેને પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર