અમદાવાદમાં 5 સ્થળે માર્ચ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

શનિવાર, 30 જાન્યુઆરી 2021 (13:46 IST)
અમદાવાદમાં નવરંગપુરા, કાંકરિયા, કાંકરિયા ગેટ-2, લાલ દરવાજા એએમટીએસ કચેરી, પ્રેમ દરવાજા ખાતે MARCH સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશન બનશે. તે માટે કેન્દ્ર સરકારની EESL કંપની સાથે 10 વર્ષના MOU કરાયા છે. આ 5 સ્ટેશન બાદ બીજા 100 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે. પ્રત્યેક સ્ટેશન પર એકસાથે 3થી 4 કાર ચાર્જ થઈ શકે તેવી સુવિધા હશે. જોકે યુનિટ દીઠ ચાર્જ, ઇન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ તેમ જ અન્ય બાબતોને ધ્યાને લઈ નક્કી કરાશે. કેન્દ્ર સરકારની કંપનીને જ જગ્યા આપવાની હોવાથી તેની પાસેથી જમીનને લગતો કોઈ ચાર્જ કે ભાડું વસૂલવામાં નહિ આવે. બીજી તરફ કંપની પણ તેની સામે મ્યુનિ.ને તેમના વેચાણમાંથી પ્રતિ યુનિટ 70 પૈસા જેટલો ચાર્જ ચૂકવશે. મ્યુનિ.માં ફરજ બજાવતા આસિ. મ્યુનિ. કમિશનર કક્ષાના 22 જેટલા અધિકારીઓને ઇલેક્ટ્રિક કાર અપાઇ છે. ઉપરાંત કેટલાક પદાધિકારીઓ માટે પણ મ્યુનિ.એ ઇલેક્ટ્રિક કાર ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.માં કેટલીક BRTS બસ પણ ઇલેક્ટ્રિક સંચાલિત છે. આગામી દિવસોમાં વધુ 300 ઈ-કાર આવે તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર