અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી હાલમાં જ યોજાઈ ચુકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં મોટી સંખ્યામાં મતદારોના નામ આ વખતે કમી થઈ જતા ભારે હોબાળો મચી ગયો હતો. અમદાવાદમાં જ ૧.૦૩ લાખ મતદારોના નામ લાપતા રહેતા આને લઈને દિવસભર નારાજગીનું મોજું રહ્યું હતું. ઘણા લોકોએ આની ખાતરી કરવાના પ્રયાસો પણ કર્યા હતા. તેમના નામ મતદાર યાદીમાંથી કમી દેખાતા આને લઈને પણ મતદારોએ નારાજગી વ્યક્ત કરીને ટોપ લેવલ પર રજુઆત કરી હતી. અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનીવાલે માહિતી આપતા કહ્યું છે કે, પ્રાથમિક મતદાર યાદી ચુંટણી કમિશન પાસેથી મેળવવામાં આવી હતી. આમાં મોડેથી ખાતરી પણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીની જેમ જ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી નહતી. ૨૦મી નવેમ્બરના દિવસે પ્રથમ યાદી જે અમદાવાદ માટે જારી કરાઈ હતી તેમાં અમદાવાદમાં મતદારોની સંખ્યા ૩૯.૮૩ લાખ દર્શાવવામાં આવી હતી. જ્યારે ૨૨મી નવેમ્બરના દિવસે અંતિમ આંકડો મતદારોનો જારી કરવામાં આવ્યો હતો. જે મુજબ મતદારોની સંખ્યા ૩૮૭૯૭૭૧ દર્શાવવામાં આવી હતી. એટલે કે મતદારોના નામ જે કમી થઈ ગયા હતા તે સંખ્યા ૧.૦૩ લાખ નોંધાઈ ગઈ હતી. રાજકોટ, ભાવનગરમાં મતદારો યાદીમાં ઉમેરાઈ ગયા હતા. જ્યારે જામનગરમાં પણ મતદારો અંતિમ યાદીમાં ઘટી ગયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી જુદી-જુદી ઝુંબેશ મારફતે યાદીને સુધારવા અને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના કલેક્ટર રાજકુમાર બેનીવાલે મતદાર યાદીમાંથી મતદારોના નામ કઈ રીતે ગાયબ થઈ ગયા તેને લઈને લેખિતમાં ખાતરી આપવા તૈયારી દર્શાવી છે. કલેક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, નવી યાદી રાજકીય પક્ષોને આપી દેવામાં આવી છે. જો કોઈ મતદાર કલેક્ટર ઓફિસમાં પહોંચશે તો નામ કમી કરવાના સંબંધમાં માહિતી આપવામાં આવશે.