ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતની ચૂંટણીમાં જેમની પર 'આપ' દાવ રમી રહી છે તે રાઘવ ચઢ્ઢા કોણ છે?

સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (08:32 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી કોઈ પ્રકારની કચાશ છોડવા નથી માગતી, અને એટલે જ અણીના સમયે રાઘવ ચઢ્ઢાને સહ-પ્રભારી બનાવ્યા છે. તેઓ સંદીપ પાઠક સાથે મળીને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માટે પ્રયાસ કરશે.
 
આ જોડીને પંજાબ વિધાનસભામાં પાર્ટીને મળેલી ભવ્ય જીતના સહભાગી માનવામાં આવે છે. જો સંદીપ પાઠક પાર્ટીના 'ચાણક્ય' છે અને 'પડદા પાછળ'ની ભૂમિકા ભજવે છે તો ચઢ્ઢા પાર્ટીનો 'ચહેરો' છે.
 
આ જોડીએ પાર્ટીને પંજાબમાં 117માંથી 92 બેઠક અપાવી હતી.
 
ચઢ્ઢાની કામગીરીને નજીકથી જોનારાના કહેવા પ્રમાણે, કેજરીવાલ સાથેની તેમની નિકટતા તેમની સડસડાટ પ્રગતિનું રહસ્ય છે. તેમની ઉપર પંજાબના મુખ્ય મંત્રીની ઉપર 'સુપરસીએમ' આરોપ લાગતા રહ્યા છે.
 
એક સમયે 'સ્વિટ બૉય નૅક્સટ ડૉર'ની છાપ ધરાવતા ચઢ્ઢાને એક સમયે મીડિયામાં ઇન્ટરવ્યૂ કે ચર્ચા માટે બોલાવવામાં આવતા ન હતા અને આજે તેઓ સ્પષ્ટ અને તર્કબદ્ધ દલીલ દ્વારા ભાજપ અને કૉંગ્રેસ સહિત વિપક્ષના પ્રવક્તાને જવાબ આપે છે.
 
2012માં જ્યારે રાઘવ ચઢ્ઢાએ સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી રહ્યા હતા, ત્યારે દિલ્હીમાં અણ્ણા હઝારેના જનલોકપાલ આંદોલને વેગ પકડ્યો હતો. અનેક યુવાનોની જેમ ચઢ્ઢા પણ તેમના પ્રત્યે આકર્ષિત થયા.
 
એ પછી જ્યારે અરવિંદ કેજરીવાલ રાજકારણમાં આવ્યા અને 'આમ આદમી પાર્ટી'ની સ્થાપના કરી, ત્યારે તેઓ આપ સાથે જોડાઈ ગયા. શરૂઆતમાં અઠવાડિયાના ચાર કલાક કામ કરવાની સાથે શરૂઆત કરી, જે આગળ જતાં ફુલ ટાઇમ પ્રોફેશન બની ગયું.
 
2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો, પરંતુ તેણે સરકાર રચવાનો દાવો ન કર્યો. અંતે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે મળીને સરકાર રચી, જે 49 દિવસ ચાલી.
 
આ દરમિયાન તેઓ આતિશી મારલેના, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ અને પ્રો. અનંતકુમાર વગેરેના હાથ નીચે તૈયાર થયા.
 
2014માં લોકસભાની ચૂંટણી સમયે આપે મહત્ત્વાકાંક્ષી ચૂંટણીઅભિયાન હાથ ધર્યું, જેમાં પંજાબને બાદ કરતાં ક્યાંય સફળતા ન મળી. ખુદ દિલ્હીની તમામ સાતેય બેઠક ગુમાવી.
 
જોકે આશ્વાસનની બાબત એ હતી કે તમામ બેઠક પર આપના ઉમેદવાર કૉંગ્રેસને પછાડીને બીજા ક્રમે રહ્યા હતા. આપના કાર્યકરોને માટે 2015નું વર્ષ આશાનું કિરણ લઈને આવ્યું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર