તો... ગુજરાતમાં ભાજપને આ વિધાનસભામાં 167 બેઠકો મળી શકે છે.

ગુરુવાર, 4 મે 2017 (13:21 IST)
ગુજરાતના એક અગ્રણી અખબાર દ્વારા કરવામાં આવેલા સરવેમાં ભાજપને 182 બેઠકોમાંથી 167 બેઠકો પર જીત મળી શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ આગામી ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો મળવાનો દાવો કરી રહ્યાં છે. ત્યારે આ સરવેમાં તેમને 167 બેઠકો મળવાનો અંદાજ કરાયો છે. ગત લોકસભા ચૂંટણીમાં નજર નાંખીએ તો કોંગ્રેસને જે વિધાનસભા બેઠકોમાં 61 સીટો મળી હતી તેમાંથી 46 બેઠકો પર 10 ટકાથી ઓછા મત મળ્યાં હતાં.

જો હાલની પરિસ્થિતિમાં લોકસભાની જેમ મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હોય તો ભાજપને 167 બેઠકો મળવાનો અંદાજ કરાયો છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠકો મળી હતી. ત્યાર બાદ 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાનના ઉમેદવાર સાથે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપને તમામ 26 બેઠકો મળી હતી. આ ચૂંટણીના પરિણામોનું એનાલિસીસ કરતાં એવું ફલિત થયું છે કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કુલ 61 વિધાનસભાની બેઠકોમાંથી માત્ર 15 બેઠકો પર કોંગ્રેસને 10%થી વધુ મત મળ્યા હતા. જ્યારે 46 બેઠકો પર કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો. ઉપરાંત જમાલપુર અને નિઝરની સીટ ભાજપના કબજામાં હોવા છતાં કોંગ્રેસને 10%થી વધુ મત મળ્યા હતા. 2014નું પરિણામ જોતાં જો તેનું પુનરાવર્તન થાય તો કોંગ્રેસને 61માંથી માત્ર 15 જ બેઠકો મળી શકે તેમ છે અને ભાજપ તેનો 150થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પૂરો કરી દેશે. સોશિયલ મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા અંગે કરવામાં આવેલા એક સર્વેમાં એવા તારણો સામે આવ્યા છે કે, 2014માં નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા હતી તેના કરતાં 2017માં વધારો થયો છે. સર્વે અનુસાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખૂબ જ વધી હોવાના ઓપ્શનમાં 12,652 લોકોએ મંતવ્યો આપ્યા હતા, જ્યારે માત્ર 624 લોકોનું કહેવું હતું કે મોદીની લોકપ્રિયતા 2014 કરતાં ઘટી છે. ઉપરાંત 352 લોકોનું માવું છે કે હાલ મોદી લોકપ્રિયતા 2014 જેટલી જ છે. 

વેબદુનિયા પર વાંચો