રાહુલ દ્રવિડ બન્યા ટીમ ઈન્ડિયાના હેડ કોચ, જાણો ક્યારથી સંભાળશે જવાબદારી

બુધવાર, 3 નવેમ્બર 2021 (23:34 IST)
ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડ (Rahul Dravid Head Coach)ની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. બુધવારે ક્રિકેટ સલાહકાર સમિતિએ સર્વસંમતિથી રાહુલ દ્રવિડની મુખ્ય કોચ તરીકે પસંદગી કરી હતી. T20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડ મુખ્ય કોચનું પદ સંભાળશે. ટી20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થશે અને હવે ટીમ દ્રવિડના માર્ગદર્શનમાં આગળ વધશે. રાહુલ દ્રવિડ ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીથી કોચિંગ કાર્યની શરૂઆત કરશે.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે કહ્યું કે આ પદ મેળવવું તેના માટે સન્માનની વાત છે અને તે આ ભૂમિકા માટે તૈયાર છે. રાહુલ દ્રવિડે કહ્યું, 'ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવું મારા માટે સન્માનની વાત છે અને હું જવાબદારી નિભાવવા તૈયાર છું. રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સારું પ્રદર્શન કર્યું અને હું ટીમને આગળ લઈ જવાની આશા રાખું છું, મે મોટાભાગના ખેલાડીઓ સાથે NCA, U-19 અને India Aમાંકામ કર્યું છે. હું જાણું છું કે તમામ ખેલાડીઓમાં જુસ્સો હોય છે અને તેઓ દરરોજ પોતાને સુધારવા માંગે છે. આગામી બે વર્ષમાં ઘણી મોટી ટૂર્નામેન્ટ આવી રહી છે અને અમે ત્યાં સારું પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું સ્વાગત કર્યું. ગાંગુલીએ કહ્યું, 'મુખ્ય કોચ તરીકે દ્રવિડનું સ્વાગત છે. રાહુલ રમતના મહાન ખેલાડીઓમાંથી એક છે. તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ ભારતીય ક્રિકેટની સેવા કરી છે. રાહુલ દ્રવિડે NCAમાં ઘણા યુવા ખેલાડીઓને તૈયાર કર્યા છે જેઓ આજે ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યા છે. મને આશા છે કે દ્રવિડ તેના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર