ગુજરાતમાં કોરોનાના કેસ વધતા પાન-મસાલા અને ચા ની દુકાનો રહેશે બંધ

શનિવાર, 18 જુલાઈ 2020 (09:41 IST)
ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસથી રોજ 900ની ઉપર આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને કેટલાક કડક પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ગુજરાત પાન-મમાલા શોપ ઓનર્સ એસોસિયેશને મહત્વની નિર્ણય લીધો છે. હવેથી પાન પાર્લર પર માત્ર પાર્સલ જ મળશે. દુકાનો પર હવેથી પાન-મસાલા કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં. 
 
અમરેલી જિલ્લા ક્લેક્ટરનું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, ચા અને પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ રખાશે. 20થી 25 જૂલાઈ સુધી અમરેલીમાં ચા-પાનના ગલ્લા પર પ્રતિબંધ લાગુ કરાયો.  આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સંક્રમણને નિયંત્રણમાં લેવા વહીવટી તંત્ર દ્વારા તારીખ 20થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન-ગલ્લા બંધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કોરોના પોઝીટીવના 206 કેસ નોંધાયા છે.
 
કેટલાક વેપારીઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ કાર્ડની 14 દિવસની માન્યતા હશે. આ કાર્ડની અવધિ પૂર્ણ થયા બાદ ફરી રીન્યુ કરાવવાનું રહેશે. આ સંપૂર્ણ કામગીરી તાજેતરમાં લોકર્પણ કરવામાં આવેલા નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે કરવામાં આવશે.  
 
જામનગર અને ધ્રોલમાં પણ આવતીકાલથી જ ચા-પાનની હોટેલ ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. 26 જુલાઈ સુધી પ્રતિબંધ લાદ્યો છે. કોરોના સંક્રમણ વધતા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર