નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી

પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે. 

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. દરેકને ગમે તેવુ ઋતુ, જીવનમાં વસંત ખીલવવે હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જયપરાજય, યશઅપયશ વગેરેમાં સમાનતા રાખતા આવડવી જોઈએ.

વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઇશશ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી મંડ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજવલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે.

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા.

શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે.  તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશુ તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શુ ગુમાવી રહ્યા છીએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર