અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં સુપરવાઇઝરે વિદ્યાર્થિનીનો હિજાબ હટાવતા હંગામો

ગુરુવાર, 14 માર્ચ 2024 (18:26 IST)
-હિજાબ કઢાવવામાં આવતા વિવાદ 
-અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજ
-અધિકારીની બદલી કરવામાં આવી 

 
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થિનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તન અંગેની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ CCTV ચેક કરતા વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જવાબદાર અધિકારીની બદલી કરવામાં આવી હતી. 
 
સુપરવાઈઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના અપાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે ગતરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપર દરમ્યાન કેટલીક મુસ્લિમ સમાજની વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઈઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના આપવામાં આવી હતી. વાલીઓ વિદ્યાર્થિનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. રજૂઆતકર્તાની દીકરી લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી. જ્યા ગત રોજ ગણીતના પેપરમાં પરીક્ષા ખંડમાં બેસતા પહેલાં તમામ છોકરીઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં જે છોકરીઓએ બુરખો તથા ઓઢણી પહેરેલી હતી તેમનું ચેકીંગ કરવા માટે તેમનો બુરખો તથા ઓઢની છીનવી લેવામાં આવી હતી. ચેકીંગ થયા બાદ પણ તેમને બુરખો કે ઓઢણી પરત આપવામાં આવ્યા ન હતા. જેથી સ્કૂલના આવા વર્તનથી વિદ્યાર્થિનીઓ અડધો કલાક સુધી રડતી રહી હતી. 
 
સુપરવાઇઝરની અન્ય પરીક્ષા કેન્દ્ર ખાતે બદલી
જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ સ્કૂલના પ્રિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરી સસપેન્ડ કરવાની રજૂઆત કરાઈ હતી. આ વિવાદિત મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજીએ જણાવ્યું હતું કે, આ અંગે વાલી તરફના અરજદાર નાવેદ મલેક દ્વારા અરજી આપવામાં આવી છે. શાળાના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બોર્ડની ગાઈડલાઇન મુજબ CCTV કેમેરામાં પરીક્ષાર્થીઓના ચહેરા દેખાય તે માટે માત્ર નકાબ દૂર કરવામાં આવ્યા હતા. જો કે CCTV ચેક કરતા વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી. જેથી ગેરવર્તન કરનાર સુપરવાઇઝરની અન્ય પરીક્ષા કેન્દ્ર ખાતે બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર