યુગાન્ડા ખાતે યોજાયેલી ૬૪મી પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભાને મળ્યુ મહત્વનું સ્થાન

શનિવાર, 14 ડિસેમ્બર 2019 (11:10 IST)
સમગ્ર સભાગૃહને ગૌરવ થાય તેવી એક ઘટના બની છે, તેમ કહીને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કોમનવેલ્થ પાર્લામેન્ટની કોન્ફરન્સ વિશ્વના જુદા-જુદા દેશોમાં મળતી હોય છે. જેની અંદર  વિશ્વના જુદા-જુદા દેશોની વિધાનસભાના અધ્યક્ષ, એમ.પી. અને એમ.એલ.એ. એક વૈશ્વિક મંચ પર એકત્ર થઇ લોકશાહીની આખી પાર્લામેન્ટરી વ્યવસ્થાની ચર્ચા કરતા હોય છે. જે તાજેતરમાં ૬૪મી પાર્લમેન્ટરી કોન્ફરન્સ યુગાન્ડા ખાતે યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં ચર્ચાની એકાદ મિનીટ પણ જો કોઇને તક મળે તો એનું સૌભાગ્ય ગણાય. 
 
પ્રદિપસિંહ જાડેજાએ તેમ કહીને ઉમેર્યું હતું કે, આ વૈશ્વિક કક્ષાના સ્ટેજમાં ગુજરાતના ઇતિહાસમાં ૧૯૬૭ પછી પહેલીવાર  એવી ઘટના બની છે કે જેની અંદર આપણા અધ્યક્ષને બે વખત પેનલને સંબોધનની તક મળી. ગુજરાત વિધાનસભામાંથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય શૈલેષભાઇ પરમાર અને વિવેકભાઇ આ કોમનવેલ્થ પાર્લામેન્ટમાં હાજર રહ્યા હતા, એટલું જ નહી ત્યાંની ડીબેટમાં પણ ભાગ લીધો તે સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે તેમ કહીને અધ્યધક્ષશ્રીને ગૃહ વતી અભિનંદન પાઠવ્યા હતાં.
 
ધારાસભ્ય શૈલેષભાઇ પરમારે જણાવ્યું કે સી.પી.સી.ની બેઠકમાં અધ્યક્ષશ્રી સાથે ડેલીગેટ તરીકે જવાનો મોકો મળ્યો તે માટે મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. યુગાન્ડામાં ગુજરાતી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવેલા તેમના સ્વાગત બદલ યુગાન્ડાના ગુજરાતી સમાજનો પણ તેમણે આભાર માન્યો હતો. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અધ્યક્ષને અભિનંદન આપતા ગૃહમાં જણાવ્યું કે, વિદેશના આટલા બધા અધ્યક્ષની વચ્ચે ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષએ પેનલીસ્ટ તરીકે પેનલમાં બેસીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
 
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન મને નહીં પરંતુ ગુજરાતને છે. તેમ કહીને ઉમેર્યું હતું કે યુગાન્ડા ખાતે વસતા ગુજરાતીઓએ ગુજરાતનું ડેલીગેટ ક્યારે આવશે તે જાણીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને મને આ જે તક મળી તેનું કારણ ગુજરાત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર