અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા

સોમવાર, 6 મે 2024 (17:34 IST)
Amit Jethwa murder case
RTI કાર્યકર્તા અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીને આજે હાઇકોર્ટમાં મોટી રાહત મળી છે. હાઇકોર્ટે દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે.આ તમામને CBI કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જેની સામે ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને અન્ય છ લોકોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેને સોમવારે હાઈકોર્ટે સ્વીકારી હતી અને આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને અયોગ્ય ગણાવતા ચુકાદો ફગાવી દીધો હતો અને તમામ આરોપીઓને કેસમાંથી મુક્તિ આપી હતી.
 
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો
હાઈકોર્ટમાં જસ્ટિસ એ.એસ સુપેહિયા અને જસ્ટિસ વિમલ કે વ્યાસની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો. જેમાં તમામ આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાઈકોર્ટે નોંધ્યુ હતું કે ટ્રાયલ કોર્ટે પહેલાથી જ દોષિત ઠેરવીને કાર્યવાહી કરી હતી. એવું લાગે છે કે ગુનાની તપાસમાં શરૂઆતથી જ યોગ્ય કાળજી લેવામાં આવી ન હતી અને આરોપીઓને પહેલાથી જ દોષિત ગણવામાં આવ્યા હતા. દિનુ સોલંકી અને અન્ય છ લોકોને 2019માં CBI કોર્ટે હત્યા અને ગુનાહિત કાવતરાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને 15 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં હાઈકોર્ટે આ કેસમાં દોષિત ઠરેલા દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદ પર સ્ટે આપ્યો હતો. દિનુ સોલંકીએ 7 જૂન 2019ના રોજ CBI કોર્ટના તેમને દોષિત ઠેરવવાના નિર્ણય સામે અરજી કરી હતી. 
 
CBI કોર્ટે સાત લોકોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી
ત્યારપછી સપ્ટેમ્બર 2021માં હાઈકોર્ટે અપીલ પેન્ડિંગ રાખીને સોલંકીની સજા પર સ્ટે આપ્યો હતો. ગયા વર્ષે, હાઈકોર્ટે તેમના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદ પર પણ રોક લગાવી દીધી હતી અને CBI કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા સામે દાખલ કરવામાં આવેલી તેમની અપીલની સુનાવણી બાકી હોય ત્યાં સુધી તેમને જામીન આપ્યા હતા. જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટની બહાર RTI કાયદા હેઠળ માહિતી માંગ્યા બાદ અને કથિત રીતે દિનુ સોલંકી સાથે સંકળાયેલી ગેરકાયદેસર ખાણકામની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બે અજાણ્યા હુમલાખોરો સામે FIR નોંધવામાં આવી હતી અને તપાસ રાજ્ય પોલીસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. આ કેસમાં CIDએ ચાર્જશીટ દાખલ કરી હતી. સપ્ટેમ્બર 2012માં હાઈકોર્ટે CBIને તપાસ સોંપી હતી. 7 જૂન 2019 ના રોજ, સીબીઆઈ કોર્ટે તમામ સાતને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર