નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું

મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (15:07 IST)
હાલ રાજ્યમાં વકરી રહેલા કોરોનાને પગલે સમગ્ર તંત્ર દોડધામ કરી રહ્યું છે. આ મહામારીને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ બેહદ જરૂરી છે. જેનો કડક અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા છેલ્લા અઠવાડીયાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત આજે પણ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આજે રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે. આ માર્કેટમાં ભીડ થઈ રહી હોવાથી અને કોઈ માસ્ક ન પહેરતા હોવાને કારણે 120 દુકાનો સીલ કરવામાં આવી છે.આ પહેલા 9 ઓગસ્ટની રાતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણી જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સિંધુ ભવન રોડ પર આવેલી ત્રણ રેસ્ટોરન્ટ અને વસ્ત્રાપુરમાં ગજાનંદ પૌંઆ હાઉસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા સીલ કરવામાં આવ્યા હતા. અનલોક-2માં રેસ્ટોરન્ટ ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકો ગાઈડલાઈનનું પૂરતું પાલન ન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરી હતી.તેમજ 9 ઓગસ્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પંચવટી પાંચ રસ્તા પાસે આવેલા સેન્ટ્રલ મોલને સીલ કર્યો હતો. રવિવારને પગલે મોલમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જોવા મળ્યા હતા. તેમજ લોકો મોલમાં માસ્ક વગર ફરતા હતા. ઉપરાંત મોલમાં આવેલા ચેન્જિંગ અને ટ્રાયલ રૂમ પણ દરેક લોકો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ થતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર