બેટી બચાવો- બેટી પઢાવો'ના નારાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા, ગુજરાતમાં દર 2 દિવસે પાંચ મહિલા પર બળાત્કાર

બુધવાર, 1 ઑગસ્ટ 2018 (12:36 IST)
ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ પર બળાત્કાર થાય છે અને રોજ ૧૮ મહિલાઓ ગુમ થાય છે. ભાજપના બેટી બચાવો તથા બેટી પઢાવોના નારાઓની અસલીયત હવે ઉજાગર થઇ ગઇ છે. ગુજરાતમાં સલામતના દાવા કેટલા પોકળ છે તેનો ખુલાશો રાજ્યમાં બની રહેલી બળાત્કાર તથા અન્ય ગુનાઓના આંકડાઓ પરથી થયો છે. ત્રાસવાદીઓના ખિસ્સામાંથી ચિઠ્ઠી શોધી શકનારી બાહોશ પોલીસ જયંતિ ભાનુશાળીને કેમ પકડી શકતી નથી? વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં આવુ જણાવ્યું હતુ. તેઓએ કહ્યું કે, નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસી કાંડ, મહિલાઓ પર દુષ્કર્મ અને જાતીય સતામણી- અત્યાચારની ઘટનાઓથી ગુજરાતનું માથુ શરમથી ઝુકી જાય છે. દુષ્કર્મની આવી ઘટનાઓમાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે. ધાનાણીએ વધુમાં જણાવ્યું કે મહિલાઓ પરના અત્યાચારો રોકવા માટે મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ મુખ્યમંત્રી પોતે છે છતા ભૂતકાળમાં ત્રણ ત્રણ વર્ષ સુધી એક પણ બેઠક મળી નહોતી. આમ મુખ્યમંત્રીને પણ આ સંદર્ભમાં કોઇ રસ નથી. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કારની ૧૮૮૭ ઘટનાઓ બની છે. નલિયા સેક્સકાંડમાં ભાજપના મંત્રીઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો- સાંસદો, નગરપાલિકાનાં સેવકો, મોટા આગેવાનો સામેલ છે. કચ્છને પર્યટન સ્થળ બનાવીને તંબુઓ બાંધી સેક્સ લીલાઓ થાય છે. ભાજપનાં તે વખતના ગૃહમંત્રીએ પોલીસ દ્વારા છોકરીની જાસુસી કરાવી હતી. વિપક્ષના નેતાઓ મહિલાઓ પરના અત્યાચાર- બળાત્કારના કિસ્સાઓમાં મુખ્યમંત્રીને એક ડઝન જેટલા પ્રશ્નો પૂછીને તેના જવાબો માગ્યા છે જેમ કે, મહિલા વિરૃદ્ધના ગુનામાં માત્ર ત્રણ ટકા લોકોને જ કેમ સજા થાય છે? અમદાવાદ- સુરત મહિલા વિરૃદ્ધના ગુનાઓમાં ટોચના ૧ ૦ શહેરોમાં સામેલ છે? નલિયાકાંડ અને સુરતની પીડિતાના આરોપીને કેમ પકડાતા નથી? શા માટે કન્યા કેળવણીમાં ગુજરાત ૨૦માં ક્રમે છે? માતા મૃત્યુ દર ઘટાડવામાં દેશમાં ૧૫ રાજ્યોમાંથી ગુજરાતને ૧૧મો નંબર કેમ છે?
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર