સગીરા સાથે પ્રેમ કરતા યુવકનું સગીરાના પરિવારે અપહરણ કરીને નર્મદા કેનાલમાં ફેંક્યો

શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (16:41 IST)
ગાંધીનગર જિલ્લાના વલાદ નજીક આવેલા ગામમાં રહેતા યુવકને ગામની જ સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી પંખીડા અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફરતાં હોવાની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું ઇકો ગાડીમાં અપહરણ કરી લીધું અને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકને નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. કૃષ્ણનગર પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે યુવકની કેનાલમાં તપાસ શરૂ કરી છે. 
 
ગાંધીનગરના વલાદ ગામના યુવક જીજ્ઞેશસિંહને ગામની જ સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવક અને સગીરા બહાર ફરતા હતા ત્યારે તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં કૃષ્ણનગર વિસ્તારમાં હોવાને લઇ ઇકો ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. કૃષ્ણનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ કરી હતી. અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે લોકડાઉન ની શરૂઆત દરમિયાન યુવક અને સગીરા એકબીજાના પ્રેમમાં પડયા હતા.
 
અપહરણ કરી યુવકને ફાગવેલ નજીક લઈ ગયા હતા અને ત્યાં કેનાલમાં જીજ્ઞેશસિંહને નાખી દીધા હતા.કૃષ્ણનગર પોલીસે સગીરા ના માતા પિતા છત્રસિંહ બીહોલા, વિભાબહેન અને દિલીપસિંહ તથા અજીતસિંહ સહીત ચારેય આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા માટે થઈને કેનાલ ગોતાખોરો મારફતે રોજના બે થી અઢી કિલોમીટર સુધી તપાસ ચાલુ રખાઈ છે. જ્યારે યુવકનો મૃતદેહ મળશે તો પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર