રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ, હજીપણ સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાવાની આશંકા

ગુરુવાર, 9 એપ્રિલ 2020 (13:48 IST)
રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.  સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર