અમદાવાદના વેપારીને સસ્તામાં સોનાની ઈંટ લેવાની લાલચ ભારે પડી, ગુવાહાટીના ત્રણ ઠગો ખોટી ઈંટ પધરાવી 20 લાખ લઈ રફૂચક્કર થઈ ગયા

શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (15:51 IST)
ઓળખીતા સોનીને બતાવવા ગયા તો સોનાની ઈંટ ખોટી હોવાની ખબર પડી હતી
સસ્તાની લાલચમાં બહેનના દાગીના ગીરવે મુક્યા, વ્યાજે પૈસા લીધા અને આખરે છેતરાયા
 
અમદાવાદના ખાડિયામાં વેપારીને સસ્તામાં સોનાની ઈંટ લેવાની લાલચમાં 20 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ખાડિયાના વેપારીને ખોદકામમાં મળેલી સોનાની ઈંટ સસ્તામાં આપી દેવાની લાલચ આપીને ખોટી ઈંટો પધરાવી ત્રણ ઠગો વેપારીના 20 લાખ રૂપિયા લઈને રફૂચક્કર થઈ ગયાં છે. જેની વેપારી અમરભાઈ પંચાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના માણેકચોક ખાતેની લુહારની પોળમાં રહેતા અમરભાઈ પંચાલ ઘરની બાજુમાં કાકા ભરતભાઇની દુકાનમાં ચાંદીનાં પાયલ બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરભાઈને તેમના મિત્ર ભાવિક શાહના પણ મિત્ર મનીષભાઈ સાથે ચાર વર્ષ પહેલાં ઓળખાણ થઇ હતી. જેથી મનીષભાઈ પર કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે, મનીષભાઈ મને નથી ઓળખતા હું તમને ઓળખું છું. મારું નામ બાબુલભાઈ છે. હું ગુવાહાટીથી બોલું છું, મારા ઘરનાને બાંધકામ દરમિયાન પાયા ખોદતી વખતે સોનાની ઈંટ મળી આવી છે જેનું વજન આશરે 2.5 કિલો છે. શરુઆતમાં તો મનીષભાઈએ કોઈ રસ લીધો ન હતો. 
મનીષભાઈ અમરભાઇને મળ્યા ત્યારે આ વાતની જાણ કરી
જ્યારે મનીષભાઈ અમરભાઇને મળ્યા ત્યારે આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ અમરભાઈએ આ બાબુલભાઈને ઈંટ કેટલામાં વેચવાની છે, આમ પૂછતાં તેમણે કહ્યું કે 40 કે 50 લાખમાં આપવાની છે, પરંતુ આટલા બધા પૈસા ન હોઈ એટલા માટે વીસ લાખ રૂપિયામાં આપી દેવાની છે. આ સાંભળીને અમરભાઇ તેની વાતમાં આવી ગયા હતા. અમરભાઇ અને તેનો મિત્ર ફ્લાઈટમાં બેસીને ગુવાહાટી ગયા હતા. જ્યાં બાબુલભાઈએ સોનાની ઈંટનું સેમ્પલ અમરભાઈને આપ્યું હતું. 
સેમ્પલની તપાસ કરતા તે સાચું સોનું હોવાનું જાણવા મળ્યું
અમરભાઇ અને તેમનો મિત્ર અમદાવાદ આવીને તેમનાં સેમ્પલની તપાસ કરતા તે સાચું સોનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમરભાઈએ તેમના દાગીના વેચી દીધા. બીજા વ્યાજે રૂપિયા લીધા. તેમની બહેનના સોનાના દાગીના પણ વેચીને વીસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારબાદ અમરભાઇ તેમના બનેવી તેમનો મિત્ર અને બહેન બધા સાથે ભેગા થઈને ફ્લાઇટમાં બેસીને ગુવાહાટી ગયાં હતાં.
અલગ અલગ વ્યક્તિ સાથે બાબુલભાઈએ ઓળખાણ કરાવી 
ગુવાહાટીમાં તેઓને અલગ અલગ વ્યક્તિ સાથે બાબુલભાઈએ ઓળખાણ કરાવી હતી. અમરભાઇ તેમજ તેમના મિત્રને બેસાડીને કોઈક ગામમાં લઇ ગયા હતા. બાબુલભાઈએ કહ્યું કે, ફટાફટ રૂપિયા અને મોબાઈલ આપી દો, અમે આજે કામ પર ગયા નથી. જેથી ઠેકેદાર આવતો હશે. આમ કહેતાં અમરભાઈએ 20 લાખ રૂપિયા અને બે મોબાઈલ ફોન બાબુલભાઈને આપી દીધા હતા તેના બદલામાં સોનાના ઈંટ હોવાનું કહીને કપડાની થેલી આપી હતી. 
શખ્સો પૈસા લઈને જતા રહ્યા પણ સોનું ખોટું નિકળ્યું
ત્યાર બાદ બાબુલભાઈ અને તેમની સાથે આવેલા અન્ય શખ્સો પૈસા લઈ જતા રહ્યા હતા અને અમરભાઇ જ્યારે અમદાવાદ આવીને સોનાની ઈંટ લઇ તેમના ઓળખીતા સોનીને બતાવવા ગયા તો સોનાની ઈંટ ખોટી હોવાની ખબર પડી હતી. જેથી તેમની સાથે ઠગાઈ થઇ હોવાની જાણ તેમને થતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કર્યા બાદ તેમણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર