અમદાવાદમાં વીએસ, એલ.જી અને શારદાબેન હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ

બુધવાર, 14 એપ્રિલ 2021 (13:22 IST)
અમદાવાદમાં હાલમાં કોરોનાનો અજગર ભરડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરવા માટે બેડ ઉપલબ્ધ નથી આવી પરિસ્થિતિમાં AMCએ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિસિપલ ક્વોટામાં 20 ટકા બેડ રિઝર્વ રાખવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે શહેરની SVP હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેરાત કરી હતી. જ્યારે આજે દર્દીઓની સારવાર માટે વીએસ જનરલ હોસ્પિટલ, એલ.જી જનરલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ( ગાયનેક ઈમર્જન્સી સિવાય)ને સંપૂર્ણ પણે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 2,282 કેસ નોંધાયા છે અને 435 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 23ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 2,489 પર પહોંચ્યો છે. 8 મહિના અગાઉ 31 જુલાઈએ 23 ના મોત નોંધાયા હતા. 12 એપ્રિલની સાંજથી 13 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 2251 અને જિલ્લામાં 31 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 411 અને જિલ્લામાં 24 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 87,114 થયો છે. જ્યારે 75,636 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોર્પોરેશને શહેરની 140 ખાનગી હોસ્પિટલોને કોવિડના દર્દીને દાખલ કરવા ડેઝિગ્નેટેડ કરાઈ છે. મંગળવારે કોર્પોરેશને ડેઝિગ્નેટ હોસ્પિટલના 20 ટકા બેડને રિઝર્વ કર્યા છે. આ બેડ ઉપર દાખલ થતા દર્દીઓનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે. ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 108 સેવા મારફત એએમસી દ્વારા રિફર કરેલ દર્દીઓને મોકલવામાં આવશે. કોરોનાના વધતાં જતાં કેસને પગલે શહેરમાં કોવિડની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોની સંખ્યા વધારીને બેડમાં વધારો કરાયો છે. જો કે, બેડની સામે દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં 5794 બેડમાંથી 92 ટકા એટલે કે 5327 બેડ ભરાઇ ગયા છે, તેમાંય વેન્ટિલેટર સાથેના માત્ર 9 બેડ જ ખાલી છે. 30 માર્ચથી 13 એપ્રિલના 15 દિવસમાં ખાનગી હોસ્પિટલના 44 ટકા બેડ ભરાઇ ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર